Site icon Revoi.in

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

Social Share

વડોદરાઃ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે 12મી સપ્ટેમ્બરે સવારે નર્મદા ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી છે. જેના કારણે   ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે સવારે સરદાર સરોવર ડેમના 15 દરવાજા 1.90 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે નર્મદા નદીમાં 2,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ઉપરાંત  નદી તળ વિદ્યુત મથક (RBPH)નાં 6 મશીનો અને સરદાર સરોવર ડેમના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,45,000 (45000+ 2,00,000) ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અને નદીકાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે, નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

​​​​​​​નર્મદા ડેમમાંથી પાણી છોડતા નદીકાંઠા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે.​​​​​​​ વડોદરા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.