ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના બોટાદ, પાલિતાણા સહિત 18 સ્ટેશનોને કરોડોના ખર્ચે અપગ્રેડ કરાશે,
ભાવનગરઃ કેન્દ્રિય બજેટમાં ભાવનગર રેલવે ડિવિઝનના 18 રેલવે સ્ટેશનનોને અપગ્રેડ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાતા બોટાદ, પાલિતાણા સહિતના રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે. અને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ભાવનગર રેલવે ડિવિઝન તળેના 18 રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવા માટે વર્ષ 2024-25ના બજેટમાં પર્યાપ્ત ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. અમૃત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતમાં કુલ 87 સ્ટેશનો અપગ્રેડ કરવાના છે, જેમાં ભાવનગર ડિવિઝનના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે, ભાવનગર ડિવિઝનના ભાણવડ, દામનગર, બોટાદ, ચોરવાડ રોડ, ગોંડલ, જામ જોધપુર, જૂનાગઢ, કેશોદ, લીંબડી, મહુવા, પાલીતાણા, પોરબંદર, રાજુલા જંકશન, સાવરકુંડલા, સિહોર જંકશન, સોમનાથ, સોનગઢ અને વેરાવળ રેલવે સ્ટેશનોને અરગ્રેડ કરવામાં આવશે. આ વખતના બજેટમાં આ સ્ટેશનોના અપગ્રેડેશન માટે પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
ગુજરાતમાં, રૂ. 30,826 કરોડના ખર્ચે 2,948 કિમીના નવા રેલવે ટ્રેકના 42 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 989 રેલવે ફ્લાય ઓવર અને અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. આ વખતના બજેટમાં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે સારીએવી રકમ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત માટે 2009-14ના નાણાકીય વર્ષ વચ્ચે સરેરાશ રૂ. 589 કરોડ રિલીઝ કરવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે 2024-25ના બજેટમાં રૂ. 8,743 કરોડની રકમ આપવામાં આવી છે, જે તુલનાત્મક રીતે 15 ગણી વધારે છે. ગુજરાતમાં 2009-14ના નાણાકીય વર્ષો વચ્ચે દર વર્ષે સરેરાશ 132 કિમીના નવા રેલવે ટ્રેક નાખવામાં આવ્યા હતા, જ્યારે 2014-24ના નાણાકીય વર્ષો દરમિયાન આ આંકડો લગભગ બમણો વધીને સરેરાશ 224 કિમી થયો છે. દર વર્ષે તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2009-14 વચ્ચે, વિદ્યુતીકરણ દર વર્ષે સરેરાશ 13 કિમી હતું, જે હવે વધીને સરેરાશ 300 કિમી પ્રતિ વર્ષ થયું છે, જે તુલનાત્મક રીતે લગભગ 23 ગણું છે.