![ગુજરાતમાં 21મી જુનનો દિવસ સાડા તેર કલાકનો સૌથી લાંબો અને રાત ટૂંકી રહેશે,](https://revoi.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2024/06/18172628/Sunrise-in-Ahmedabad.jpg)
અમદાવાદઃ દિવસો એક સરખા રહેતા નથી. ક્યારેક રાત લાંબી અને દિવસ ટુકો રહેતો હોય છે. તો ક્યારેક દિવસ લાંબો અને રાત ટુકી રહેતી હોય છે. જોકે અલગ અલગ પ્રદેશોમાં દિવસ-રાતના ફેરફારો જોવા મળતા હોય છે. ગુજરાતમાં આગામી તા. 21 જૂનના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે. 21મી જુનથી દક્ષિણાયણ શરૂ થશે. અર્થાત્ વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ આ દિવસથી સૂર્ય ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વળશે જે કારણે તેને દક્ષિણાયણ કહે છે. આ સાથે તા. 23થી જુનથી જેઠ માસનો કૃષ્ણપક્ષ (વદ) શરૂ થશે પખવાડિયુ આ વખતે વર્ષો બાદ 13 દિવસનું રહેશે.
જ્યોતિષ અને કર્મકાંડ પંડિતોના કહેવા મુજબ ગુજરાતમાં રાજકોટ,અમદાવાદ,સુરત સહિત મોટાભાગના સ્થળોએ તા. 21 જૂનનો દિવસ 13.50 કલાકનો રહેશે અને રાત્રિ 10.50 કલાકની એટકે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે. જો કે પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યના કિરણો દરેક સ્થળે એક સાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટનો ફરક રહેશે. ત્યારબાદ તા. 22 જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે. દેશમાં ઉત્તરાયણ એ પ્રકાશનો, ઉર્જાનો સમયગાળો ગણાય છે અને તે કારણે સૂર્ય તા. 22 ડિસેમ્બરે ઉત્તર તરફ ઢળવા લાગે તે સમય બાદ તા. 14 જાન્યુઆરીને ઉત્તરાયણ તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે દક્ષિણાયણ એ સાધના માટે, શરીર અને મનની શુધ્ધિ માટેનો ઉત્તમ સમય ગણાય છે. શાસ્ત્રોમાં બન્નેનું અનેરૂ મહત્વ હોય છે. દક્ષિણાયણમાં જ ચતુર્માસ આવે છે. તેમજ આગામી તા. 17 જૂલાઈએ દેવશયની એકાદશી આવશે અને દેવદિવાળીએ દેવઉઠી એકાદશી હોય છે જે દેવોનો વિશ્રામનો સમય ગણાય છે. તા. 23 જૂને જેઠવદ-બીજથી કૃષ્ણપક્ષનું પખવાડિયુ શરૂ થશે. આ પખવાડિયામાં એકમ તથા અગિયારસનો ક્ષય છે તેથી તે 13 દિવસનું છે.