Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં 3ના મોત, 6ને ઈજા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જુદા જુદા અકસ્માતોના બે બનાવોમાં 3નાં મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ હતી.  સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જ્યારે વઢવાણ રોડ પર બસ સ્ટેન્ડ પાસે ડમ્પર ચાલકે ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  જિલ્લાના સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલા સહિત એક બાળકનું મોત નિપજ્યું હતું. સુજસદણ પાસે આવલા દહીસરા ગામે સુરતનો પરિવાર માતાજીના દર્શને જઈ રહ્યો હતો ત્યારે  ગોઝારો અકસ્માત નડયો હતો. સાયલા ચોટીલા હાઇવે પર આઇસર અને રિક્ષા વચ્ચે મોડલ સ્કૂલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં મૃતકમાં 1 મહિલા તેમજ 3 મહિનાના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે બીજા અકસ્માતનો બનાવમાં  ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જેમાં વઢવાણ રોડ પર બસ સ્ટેન્ડ પાસે ડમ્પર ચાલકે ચાર વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સદભાવના ટ્રસ્ટમાં ડિવાઇડર પર પાણી પીવડાવતા મજૂરોને અકસ્માત નડ્યો હતો. જેમાં અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની વણઝારના પગલે બે મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું હતું અને છ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.