Site icon Revoi.in

દહેગામના જનસેવા કેન્દ્રમાં પ્રાંત અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ કરતા 4 વચેટિયા પકડાયા

Social Share

ગાંધીનગરઃ જનસેવા કેન્દ્ર પર વચેટિયાઓ વહિવટ કરતા હોવાથી ફરિયાદો મળતા ગાંધીનગરના પ્રાંત અધિકારીએ દહેગામ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્રમાં પિટીશન રાઇટર ન હોય તેવા અરજી સ્વીકારતા અને લખતાં ચાર જેટલા વચેટીયાઓ આબાદ રીતે ઝડપાઈ જતાં તમામને કચેરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રો કાર્યરત કરાયા છે. જનસેવા કેન્દ્રો પરથી નાગરિકોને આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, જમીન મહેસુલના દાખલા જેવી સરકારની અનેક વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. જનસેવા કેન્દ્ર રાજય સરકારની વિવિધ સેવાઓ માટે સ્થાનિક કક્ષાએ ઝડપી, વિશ્વસનીય અને પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. જોકે જનસેવા કેન્દ્રો પર વચેટિયાઓ વહિવટ કરતા હોવાની ફરિયાદો મળતા ગાંધીનગર કલેક્ટરે જનસેવા કેન્દ્રોની સરપ્રાઈઝ ચેકિંગની પ્રાંત અધિકારીને સુચના આપી હતી.

દહેગામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારીએ ઓંચિતી મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિવિધ સેવાઓ અંગેની માહિતી કર્મચારીઓ પાસેથી મેળવી હતી. તેમજ જનસેવા કેન્દ્રમાં આવેલા લાભાર્થીઓ અને નાગરિકો પાસે તેમના મુખે જનસેવા કેન્દ્રની કામગીરી અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો. તેમની આ મુલાકાત દરમિયાન પિટીશન રાઇટર ન હોય તેવા ચાર વ્યક્તિઓ અન્ય લાભાર્થીઓની અરજી લખતાં નજરે ચઢી ગયા હતા. પ્રાંત અધિકારીએ તેમની ઝીણવટપૂર્વક તપાસ કરી તેમની સામે લાલ આંખ કરીને તેમને જનસેવા કેન્દ્રમાંથી બહાર મોકલી દેવા માટેની સૂચના આપી હતી. આ વાતથી સમગ્ર દહેગામ મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રાંત અધિકારીએ આ પ્રકારના વ્યક્તિઓ જનસેવા કેન્દ્રમાં ન આવે તે અંગેની સૂચના સંબધિત અધિકારીને આપી છે. તેમ છતાં કોઇપણ વ્યક્તિ આ રીતે આવે તો તેની સામે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી કરવા પણ સંબધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું છે.