Site icon Revoi.in

પાટણમાં સરસ્વતી નદીમાં 7 ડૂબ્યા, 4નાં મોત, 3ને બચાવી લેવાયા

Social Share

પાટણઃ શહેરમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સાત જણાં પાણીમાં ડૂબ્યા હતા. દરમિયાન બુમાબુમ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવેયા દોડી આવ્યા હતા. અને ઊંડા પાણીમાં ડુબી રહેલા 7માંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ચાર જણાંના ડૂબી જતા મોત નિપજ્યા હતા. શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોતથી ભારે ગમગીનીભર્યો માહોલ સર્જાયો હતો.

પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ 7 લોકો પાણીમાં ગરક થયા હતા. સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકી ચાર લોકોના મોત થયા હતા. જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નદીમાં ડૂબતાં બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા. જે તમામ પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયાં છે. એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ  શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની, બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે બે પંડીત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, તરવૈયાની મદદથી તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે.