1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં સરકારી ગોદામમાંથી ધનેડા, જીવાંતો નીકળતા આજુબાજુના રહિશો પરેશાન
વડોદરામાં સરકારી ગોદામમાંથી ધનેડા, જીવાંતો નીકળતા આજુબાજુના રહિશો પરેશાન

વડોદરામાં સરકારી ગોદામમાંથી ધનેડા, જીવાંતો નીકળતા આજુબાજુના રહિશો પરેશાન

0
Social Share
  • સરકારી ગોદામોના આજુબાજુના રહીશો ત્રસ્ત બન્યા,
  • સરકારી અધિકારી કહે છે, ન ફાવે તો મકાનો ખાલી કરીને જતા રહો,
  • રહિશોએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો

વડોદરાઃ સરકાર દ્વારા પુરવઠા વિભાગના ગોદામમાં અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોય છે. અને અનાજના ગોદામમાંથી રેશનિંગના દુકાનદારો અને મધ્યાહ્ન ભોજન યોજના માટે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. ગોદામમાં સંગ્રહ કરાયેલા અનાજમાં ધનેડા અને જીવાંતો પડી જતા હોય છે. આ જીવાંતો આજુબાજુના રહેણાંક ઘરોમાં પ્રવેશતી હોય છે. વડોદરામાં આવો જ એક બનાવ બન્યો છે. શહેરના ભૂતડી ઝાપા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ધનેરા જેવી જીવાત અને મરી ગયેલા ઉંદરોના કારણે ગોડાઉન પાછળ રહેતા 5000 ઉપરાંત લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક મહિલાઓએ ગોડાઉન ખાતે જઇને હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાંજના સમયે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. જમતી સમયે જમવાની થાળીમાં અને પીવા પાણીના વાસણોમાં ધનેરા પડી રહ્યા છે. રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ અંગે ગોડાઉનના સત્તાવાળાઓને રજૂઆત કરવા ગયા ત્યારે તેઓ મકાનો ખાલી કરી જતા રહેવાની સલાહ આપી રહ્યા છે.

વડાદરામાં ભૂતડી ઝાપા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ઘઉં, ચોખા, સહિત વિવિધ અનાજ સહિતનો જથ્થો રાખવામાં આવે છે. અને આ ગોડાઉન ઉપરથી શહેર જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સપ્લાય કરવામાં આવે છે. જે દુકાનો દ્વારા ગરીબ લોકોને અનાજ આપવામાં આવતું હોય છે. સરકારી ગોડાઉનમાં યોગ્ય અને સમયસર સફાઈ અને દવાઓનો છંટકાવ કરવામાં આવતો ન હોવાથી ગોડાઉનની પાછળ આવેલા હુજરાત ટેકરા, લીમડા ફળિયા, દાદી અમ્મા દરગાહ, ડામડૂબ વિસ્તાર, કોયલી ફળિયા, બાવચાવાડ, ચૌહાણ સોસાયટી સહિતના વિસ્તારોમાંના લોકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવવાના કારણે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. છેલ્લા ત્રણેક માસથી સાંજના સમયે ધનેરા જેવી જીવાતો વિસ્તારમાં ઝૂંડમા આવતી હોવાથી રહેવું મુશ્કેલ થઈ ગયું છે.

સ્થાનિક મહિલા રહિશોના કહેવા મુજબ  સાંજના સમયે જીવાતોના ઝુંડ વિસ્તારમાં ફરી વળે છે. જમવા બેસીએ ત્યારે જમવાની થાળીમાં પડે છે. પીવાના પાણી ભરેલા વાસણમાં જીવાતો પડે છે. કાનમાં ઘૂસી જાય છે. નાના બાળકો માટે મુશ્કેલી રૂપ બનતા હોય છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી. ન છૂટકે આજે વિસ્તારના રહીશો એકઠા થઈને ગોડાઉન ખાતે હલ્લાબોલ કરવાની ફરજ પડી હતી. તે બાદ તંત્ર દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે,

સ્થાનિક મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,  ગોડાઉન રહે એનો અમને વાંધો નથી. પરંતુ ગોડાઉનમાં સમયસર સફાઈ અને દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે આ પ્રશ્ન હલ કરવાની બદલે સત્તાવાળાઓએ જીવાતથી પરેશાન થતા હોય અને દુર્ગંધ આવતી હોય તો અહીંયાથી મકાનો ખાલી કરીને જતા રહો. તેવી સલાહો આપવામાં આવી રહી છે. સરકારી અનાજના ગોડાઉનમાંથી સાંજ પડતાની સાથે માથું ફાડી નાખે તેવી દુર્ગંધો આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક લોકોએ ગોડાઉનમાં મરેલા ઉંદરો પણ હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક લોકોએ ધનેડા જેવી જીવાત અને મરેલા ઉંદરોના કારણે ફેલાતી દુર્ઘટના પગલે રોગચાળાએ પણ માથું ઊંચક્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિકોએ આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે તંત્ર પાસે માગણી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code