Site icon Revoi.in

જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રા ગામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો

Social Share

અમરેલીઃ જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. વાડી વિસ્તારમાંથી બાળકને ઉઠાવી સિંહણ લઈ ગઈ હતી. સિંહણ ઢસડીને બાળકને દૂર લઈ ગઈ હતી, ત્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો.

અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જંગલ વિસ્તામાંથી સિંહ-દીપડા હવે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને શિકાર કરે એ રૂટિન થઇ ગયું છે. પશુઓ સાથે હવે સિંહોના માનવ પરના હુમલા પણ વધી રહ્યા છે. ત્યારે જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં સોમવારે સાંજના સમયે રામકુભાઈ ધાખડાની વાડીમાં લાલજીભાઈ જોળિયાનો પરિવાર કપાસ વીણતો હતો અને બે બાળકો બાજુમાં રમતાં હતાં. આ દરમિયાન અહીં અચનાક એક સિંહણ આવી ચડી હતી અને બે બાળકોમાંથી પાંચ વર્ષીય આરુષ લાલજીભાઈ જોળિયાને જબડામાં પકડીને દૂર ઢસડી ગઇ હતી. પાંચ વર્ષીય આરુષને સિંહણ જડબામાં પકડીને દૂર ઢસડી જતાં સાથે રમતા અન્ય બાળકે બૂમાબૂમ કરતાં કપાસ વીણતા લાલજીભાઈ જોળિયાના પરિવારને જાણ થઇ હતી. જેથી તેમણે તુરંત શોધખોળ હાથ ધરી હતી. જોકે, કપાસના પાકમાં સિંહણ બાળકને લઇને ગાયબ થઇ ગઇ હતી. જેથી લાલજીભાઈ જોળિયાએ તરત વાડી માલિક અને ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા.

આ બાદ ગ્રામજનોએ જાફરાબાદ રેન્જ વન વિભાગને જાણ કરતા વનવિભાગના આર.એફ.ઓ. સહિત ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. વનવિભાગની ટીમ અને ગ્રામજનોએ બે ત્રણ કલાક શોધખોળ કર્યા બાદ મોડી રાતે બાળકોના માત્ર અવશેષો જ મળ્યા હતા. વનવિભાગે બાળકના અવશેષો એકત્ર કરી જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલને થતાં તેમણે સિંહણ તાત્કાલિક પાંજરે પૂરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઇને વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ડોક્ટરની ટીમ સાથે મોડી રાતે સિંહણને પકડીને પાંજરે પૂરવા માટે સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે.