1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોલીસમાં નવી ભરતી માટે 69 કરોડના બજેટ ફાળવાતા હવે ત્વરિત ખાલી જગ્યાઓ ભરી દેવાશે
પોલીસમાં નવી ભરતી માટે 69 કરોડના બજેટ ફાળવાતા હવે ત્વરિત ખાલી જગ્યાઓ ભરી દેવાશે

પોલીસમાં નવી ભરતી માટે 69 કરોડના બજેટ ફાળવાતા હવે ત્વરિત ખાલી જગ્યાઓ ભરી દેવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની કવાયત ચાલી રહી છે. જેના માટે ગૃહ વિભાગે રૂ.69.08 કરોડ ફાળવ્યા છે. જેથી હવે ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નહીં ચલાવે, દરેક પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળ જ રહેશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરીને જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન હતા, તે પીઆઈના કરી દેવા સરકારે કવાયત શરૂ કરી હતી. જેના ભાગરૂપે અગાઉ 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીઆઈના કરી દેવાયા હતા. જ્યારે બાકી રહેલા 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પીઆઈની નિમણૂક કરવા ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે માટે 200 પીઆઈ, 300 પીએસઆઈ અને 374 એએસઆઈ મળીને 874 નવી ભરતી માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગે રૂ.69.08 કરોડ ફાળવ્યા છે. જેથી પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ પર ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં વેગ આવશે. રાજ્યના નાના-મોટા તમામ પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવશે.એક પણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નહીં ચલાવે, દરેક પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળ જ રહેશે. જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન છે ત્યાં 3 થી 4 પોલીસ સ્ટેશનની ઉપર સર્કલ પીઆઈ હોય છે. જેથી ખૂન, ખૂનની કોશિષ, આઈટી એકટ, પ્રોકસો સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનાઓની તપાસ પીઆઈ કક્ષાના અધિકારીને કરવાની હોવાથી તે તપાસ સર્કલ પીઆઈને સોંપવામાં આવે છે. પરંતુ તેમના તાબા હેઠળ 3 થી 4 પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોવાથી તેઓ આવી તપાસ યોગ્ય રીતે કરી શકતા ન હતા. જેથી ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળના કરી દેવાની જાહેરાત કરી હતી. જેમાં 400 પોલીસ સ્ટેશન પીએસઆઈના તાબા હેઠળના હતા. તેમાંથી 200 અગાઉ પીઆઈના તાબા હેઠળના કરી દેવાયા હતા. જ્યારે બાકી રહેલા 200 પોલીસ સ્ટેશનોમાં પીઆઈને પોસ્ટીંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ પોલીસ સ્ટેશનોમાં પીઆઈની નિમણૂંકથી ​​​​​​​ ગંભીર ગુનાઓની તપાસ પીઆઈ જાતે કરે તો યોગ્ય રીતે જલ્દી તપાસ પૂરી કરી શકાશે. જેના કારણે વધારે લોકોને જલ્દી ન્યાય અપાવી શકાશે. જ્યારે કલેકટર તેમજ અન્ય સરકારી કચેરીઓમાં પીઆઈ કક્ષાના અધિકારી લાયઝનિંગ પણ સારી રીતે કરી શકશે. હાલમાં પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કર્મચારીઓ મળીને 30થી 50 પોલીસનો સ્ટાફ છે. જ્યારે પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળનું થશે એટલે ત્યાં ડિસ્ટાફ પીએસઆઈ મુકાશે તેમજ ચોકીઓ બનશે તો ત્યાં પણ પીએસઆઈ મુકવામાં આવશે. જેથી તે પોલીસ સ્ટેશનોમાં પીઆઈ, 3 થી 4 પીએસઆઈ, તેમના હાથ નીચે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મળીને 80થી 100નો સ્ટાફ થઈ જશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code