નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતોવ વચ્ચે બેઠક યોજાઈ હતી. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક-AIIB ના બોર્ડ ઓફ ગવર્નર્સની વાર્ષિક બેઠક પહેલા બંને મંત્રીઓએ પરસ્પર વેપાર, ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ખાતર અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના ક્ષેત્રોમાં ચર્ચા કરી હતી.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ નીતિ પર સમજૂતી થઈ છે. બંને દેશોનું માનવું છે કે આનાથી સ્વાસ્થ્ય સુરક્ષા, હોસ્પિટાલિટી અને ટુરિઝમના ક્ષેત્રોમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને મંત્રીઓએ RuPay કાર્ડ અને UPI સિસ્ટમ સહિત ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અંગે પણ ચર્ચા કરી હતી.