Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા માટે બેઠકોનો દોર શરૂ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ગત સપ્તાહે જ ચુંટણી પૂરી થઈ છે અને પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને તેની સાથી પાર્ટી કોંગ્રેસે મળીને 48 બેઠકો પર જીત હાંસલ કરતાં જ સત્તા પર આવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તો સાથે જ ૨૦૧૮થી લાદેલું રાષ્ટ્રપતિ શાસન પણ હવે હટી જશે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા મુખ્યમંત્રીના શપથ પહેલા જ રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવશે તેવો આદેશ કર્યો છે. તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ખૂબ સારી બેઠકો પ્રાપ્ત કરતાં બંને પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં ઓમર અબ્દુલ્લાની પાર્ટીનો કારમો પરાજય થયો હતો ત્યારે તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું ફરી એકવાર મુખ્યમંત્રીપદે બિરાજીશ, જે વાત હવે સાચી પડવા જઈ રહી છે. તો મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈને નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 2014માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીપીનાં ગઠબંધનની સરકાર બનાવી હતી. જોકે કજોડાનું આ ગઠબંધન તેનો કાર્યકાળ પૂર્ણ કરે તે પહેલા જ 2018માં ભાજપે ટેકો પાછો ખેંચી લેતા સરકાર પડી ભાંગી હતી અને પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તીએ મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપ્યુ હતું, આ બધાની વચ્ચે વર્ષ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં લદાયેલી કલમ 370 અને 35એ સંસદમાં બહુમતીથી દૂર કરતાં સમગ્ર કાશ્મીરમાં સન્નાટો છવાઈ ગયો હતો. અને ત્યારબાદ સ્થિતિ થાળે પડતાં આખરે છેક વર્ષ 2024 માં વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. 10 ઓક્ટોબરે મળેલી બેઠકમાં ઓમરને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 11 ઓક્ટોબરની સાંજે જમ્મુ-કાશ્મીરમાં એલજી મનોજ સિન્હા સમક્ષ ગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.