Site icon Revoi.in

મોઢવાડિયા દિલ્હીમાં અમિત શાહ અને પાટિલને બંધબારણે મળતા મંત્રી મંડળ વિસ્તરણની અટકળો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ ગણાતા નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં વાજતે ગાજતે જોડાયા હતા. ત્યારબાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પોરબંદરની બેઠક પરથી તેમનો વિજ્ય થયો હતો. ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન અપાશે એવી ચર્ચાઓ જાગી છે. ત્યારે અર્જુન મોઢવાડિયાએ દિલ્હી દરબારમાં જઈને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી આર પાટિલને બંધ બારણે મળતા ફરીવાર મંત્રી મંડળના વિસ્તરણે જોર પકડ્યું છે.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિત મહત્વના પદ ભોગવ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસને આંચકો આપ્યો હતો, અને કોંગ્રેસને રામ રામ કરીને તેમણે ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો હતો, મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્યપદેથી તેમજ પક્ષના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધુ હતું. અને ત્યારબાદ પેટા ચૂંટણી યોજાતા પોરબંદરની બેઠક પરથી તેમનો વિજ્ય થયો હતો. તત્કાલિન સમયે મોઢવાડિયાને ભાજપ સરકારમાં મંત્રી બનાવવાની શરતે લેવામાં આવ્યા હોવાથી ચર્ચાઓ થતી હતી. પરંતુ ત્યારબાદ ભાજપના સિનિયર ધારાસભ્યોમાં પોતાને મંત્રી બનાવવામાં આવે એવો ગણગણાટ પણ શરૂ થયો હતો. ભાજપના એક જુથમાં મોઢવાડિયાને મંત્રી બનાવવા સામે વિરોધ ઊભો થયો હોવાનું કહેવાય છે. ત્યારે મોઢવાડિયાએ દિલ્હી દરબારમાં જઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ સીઆર પાટિલને મળતા ફરીવાર મંત્રી મંડળનું વિસ્તરણ થશે એવી વાતોએ જોર પકડ્યું છે.

સોશિયલ મીડિયા પર ભાજપ હાઈકમાન્ડ સાથેની મોઢવાડિયાની તસવીરો હાલ વાયુવેગે વાયરલ થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં આ તસવીરોએ ફરી એવી ચર્ચા જગાવી છેકે, ટૂંક સમયમાં ગુજરાતના મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. એટલું જ નહીં આ વખતે અર્જુન મોઢવાડિયાને પણ ગુજરાતના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અર્જુન મોઢવાડિયાને ગુજરાતની ભાજપ સરકારમાં મોભાદાર કેબિનેટ મંત્રીનું પદ મળી શકે છે.

એવી પણ ચર્ચા છેકે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે. ત્યારે આ મંત્રીમંડળમાં કોના પત્તા કપાશે અને મોકો આપાશે તેના પર સૌ કોઈની નજર છે. ચર્ચા એવા પણ છેકે, હાલના મંત્રી મંડળમાંથી પણ અમુકને પડતા મુકવામાં આવી શકે છે. જ્યારે બીજા નવા ચહેરોઓને મંત્રી મંડળમાં સ્થાન અપાઈ શકે છે. ખાસ ચર્ચા એ વાતની પણ છેકે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં પક્ષપલટુ નેતાઓને અપાયેલી કમિટમેન્ટના ભાગરૂપે ભાજપ દ્વારા ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.