Site icon Revoi.in

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જવા વૈકલ્પિત રસ્તો બનાવાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટનો દેશના સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટમાં સમાવેશ થાય છે. એટલે કે પ્રવાસી ટ્રાફિકમાં સતત વ્યસ્ત રહેતું એરપોર્ટ છે. હાલ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ માટે વિસ્તૃતિકરણનું કામ ચાલી રહ્યુ છે. તેથી પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં પાર્કિંગની વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમજ એરપોર્ટમાં પ્રવેશ માટે અગાઉ અલગ અલગ માર્ગો હતા તેના બદલે હવે કામ ચાલે ત્યાં સુધી વૈકલ્પિત માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગ્રાઉન્ડ સ્ટાફ 24 કલાક સેવા બજાવશે.

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ગુજરાતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અમદાવાદ એરપોર્ટ સાથે વિદેશના શહેરોની કનેક્ટિવિટી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આથી ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ એરપોર્ટ આવે છે. હાલ એરપોર્ટના વિકાસ માટેના કામ ચાલી રહ્યા છે. એટલે પ્રવાસીઓ  અટવાય ન જાય તેના માટે એરપોર્ટ દ્વારા ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટાફ તહેનાત રાખવામાં આવ્યો છે. અને દરેક જગ્યા ઉપર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટર્મિનલ 2ની નજીક ચાલી રહેલા વિકાસ અને ક્ષમતા વધારવાના કામને લીધે પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે કોઈ પ્રવાસીને હાલાકી ન પડે તેના માટે એરપોર્ટ ઓથોરિટીની ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમ પાર્કિંગના સ્થળ પર અને ટ્રાફિક ફ્લોમા મદદ કરવા માટે 24 કલાક તહેનાત રહેશે. જેના માટે એરપોર્ટ સર્કલથી એરપોર્ટ તરફ જતા વચ્ચે રસ્તામાં જે ફ્લેક્સ સર્કલ આવે છે ત્યાંથી ડાબી તરફથી શરૂ કરીને જ્યાં સુધી પ્રવાસીઓના વાહનો પાર્ક ન થાય ત્યાં સુધી તમામ સ્થળ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમનો સ્ટાફ હાજર રહેશે. એરપોર્ટના ટર્મિનલ 2ની અંદર જવા માટે અગાઉ અલગ પ્રવેશ દ્વાર હતો. પરંતુ હવે તે માર્ગમાં વિકાસ કાર્યો થવાના હોવાથી બંધ કરીને તેની બાજુમાં જ વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાંથી પ્રવાસીઓ ટર્મિનલ 2ની અંદર પ્રવેશ કરી શકશે અને જૂના પાર્કિંગ સ્થળથી નજીક વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે. તેના માટે પ્રવાસી કયા સ્થળથી પ્રવેશ લઈને ક્યાંથી બહાર નીકળી શકશે અને કયા સ્થળ પર વાહન પાર્ક કરી શકશે તેના માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એક નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરો ફ્લેક્સ સર્કલથી ડાબી તરફ 700 મીટર અંદર જઈને જમણી તરફ ટર્મિનલ 2ની અંદર પ્રવેશ કરી શકશે. ત્યાંથી અમદાવાદ એરપોર્ટના ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમના સભ્ય દ્વારા પ્રવાસીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

અમદાવાદના સરદાર પટેલ  ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા અને ક્ષમતા વધારવા માટે સતત નવા ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ત્યારે એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું ત્યાં ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બનાવવાની પ્રક્રિયામાં એરપોર્ટ વધુને વધુ બદલાવ કરી રહ્યું છે. ટર્મિનલની અંદર ઘણા બધા સુધારા કર્યા બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટર્મિનલની બહાર પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પેસેન્જર માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. નવા બનાવેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલની બહાર વિવિધ ફૂડ સ્ટોલ એટલે કે, અલગ અલગ બ્રાન્ડના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં કોઈ ઇન્ટરનેશનલ મહેમાન આવે તો તમને ગુજરાતી વાનગીનો સ્વાદ માણી શકાય તે પ્રકારના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે જ ભવિષ્યના વર્ષોમાં ત્યાં ટર્મિનલ 2ની બહાર પ્લાઝા કે મોલ બનાવાશે.