Site icon Revoi.in

અમરનાથ યાત્રા માટે 4,627 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કડક સુરક્ષા વચ્ચે રવાના થયો

Social Share

નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વચ્ચે આજરોજ 4,627 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ રવાના થયો હતો. અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી આજે 4,627 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ બે સુરક્ષા કાફલામાં ખીણ તરફ રવાના થયો હતો. 90 વાહનોમાં 1,854 શ્રદ્ધાળુઓને લઈને પ્રથમ કાફલો સવારે 3.07 વાગ્યે ઉત્તર તરફ રવાના થયો હતો. 

કાશ્મીરમાં બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો છે. જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં સોમવારના આતંકવાદી હુમલા બાદ સત્તાવાળાઓએ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષા વધારી દીધી છે. હવામાન વિભાગે બંને પ્રવાસ માર્ગો પર દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ અને મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. યાત્રીઓ ગુફા મંદિર સુધી પહોંચવા માટે 48 કિમી લાંબા પરંપરાગત પહેલગામ માર્ગ અથવા 14 કિમી લાંબા ટૂંકા બાલટાલ માર્ગનો ઉપયોગ કરે છે.

જેઓ પહેલગામ માર્ગનો ઉપયોગ કરે છે, તેઓ ગુફા મંદિર સુધી પહોંચવામાં ચાર દિવસ થાય છે. જ્યારે બાલટાલ માર્ગનો ઉપયોગ કરતા લોકો દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરે છે. સમુદ્ર સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથ ગુફા વિશ્વભરના લાખો હિન્દુઓ દ્વારા ભગવાન શિવના ઘર તરીકે પૂજનીય છે. આ વર્ષે લગભગ 300 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર હાઈવે પર બે બેઝ કેમ્પ બનાવવામાં આવ્યા છે અને ગુફા મંદિરમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રા સરળ અને અકસ્માત મુક્ત રહે.

બંને માર્ગો પર 124 થી વધુ લંગરો સ્થાપિત કરવામાં આવ્યા છે. 7,000 થી વધુ સેવાદાર મુસાફરોની સેવા કરી રહ્યા છે. મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે રેલવે વધારાની ટ્રેનો દોડાવી રહી છે. બંને રૂટ પર મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.