Site icon Revoi.in

થરાદ-અમદાવાદ વચ્ચે નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજુરી, મુખ્યમંત્રીએ PMનો માન્યો આભાર

Social Share

અમદાવાદઃ થરાદ-અમદાવાદ વાયા ડીસા અને મહેસાણા વચ્ચે નેશનલ હાઈસ્પીડ કોરીડોરને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. ભારતમાલા પરિયોજના અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે. થરાદ-અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજુરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકમાં દેશમાં કુલ રૂ. 50,655 કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપી હતી. જેમાં થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ પીએમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, થરાદ, ડીસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને વડાપ્રધાને મંજૂરી આપીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે કનેક્ટિવિટીની મહત્વપૂર્ણ દિશા ખોલી આપી છે. વડાપ્રધાને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવતા ઉમેર્યુ હતુ. કે, આ કોરિડોર ફાર્મા, ઈલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. એટલું જ નહીં, માલસામાનના પરીવહન ખર્ચમાં ઘટાડો અને સમયમાં બચત પણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 214 કિ.મી. 6-લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (BOT) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 10,534 કરોડ છે. થરાદ-અમદાવાદ કોરિડોર ગુજરાત રાજ્યમાં બે મુખ્ય રાષ્ટ્રીય કોરિડોર-અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે. જેનાં પરિણામે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનાં ઔદ્યોગિક વિસ્તારોમાંથી ઉદ્ભવતા માલવાહક વાહનોને મહારાષ્ટ્રનાં મુખ્ય બંદરો (જેએનપીટી, મુંબઈ અને નવા મંજૂર થયેલા વઢવાણ બંદર) સુધી સતત જોડાણ પ્રદાન થશે. આ કોરિડોર રાજસ્થાનનાં મુખ્ય પ્રવાસન સ્થળો (ઉદાહરણ તરીકે, મેહરાનગઢ કિલ્લો, દિલવાડા મંદિર વગેરે) અને ગુજરાત (દા.ત. રાણકી વાવ, અંબાજી મંદિર વગેરે)ને પણ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે, જેથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે