Site icon Revoi.in

વડોદરા શહેર અને જિલ્લામાં નદી અને તળાવોમાં 23 સ્થળોએ નહાવા પર પ્રતિબંધ મુકાયો

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં નદી કે તળાવોમાં નહાવા જતા ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં 23 જેટલા ભયજનક સ્પોટ નક્કી કરાયા છે. જ્યાં નહાવા પર  પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

વડોદરા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 20 જેટલા લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર બીજલ શાહ દ્વારા જિલ્લામાં જોખમી સ્થળો શોધીને તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ 23 સ્થળો પર નહાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં  દિવેર, નારેશ્વર, સિંધરોટ અને કોટ સહીત જિલ્લાના 23 જગ્યાએ ન્હાવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જિલ્લાના વાઘોડિયા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી દર્શાવાયા છે.

જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ડભોઈ તાલુકામાં કુલ સાત સ્થળોને જોખમી જાહેર કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેમાં નર્મદા મેઈન કેનાલ (તેનતળાવ), નર્મદા માઈનોર કેનાલ (કુંઢેલા), અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી (વડદલી અને ભાલોદરા ગામ), અંગુઠણ નારીયા રોડ પાસે આવેલા કૂવાની સામે આવેલો સરકારી કાંસનો ઊંડો ખાડાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વડોદરા ગ્રામ્ય તાલુકામાં કુલ ચાર સ્થળોને જોખમી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચેક ડેમ, સિંધ રોટ, મહીસાગર નદીના પાણીમાં (સિંધ રોટ), મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ), ફાજલપુર બ્રિજ, મહી નદી (સાંકરદા ગામ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે પાદરા તાલુકાના કુલ ત્રણ જોખમી સ્થળ/વિસ્તારમાં મુજપર બ્રિજ, મહી નદી (મુજપુર), અંબાજી માતા તળાવ (પાદરા ગામ), મહીસાગર નદી તટ (ડબકા)નો સમાવેશ થાય છે. તેમજ શિનોર તાલુકામાં દિવેર ગામે મઢીએ (દિવેર); સાવલી તાલુકાના લાંછનપુર અને કનોડા મહીસાગર નદીનો પટ્ટ (પોઈચા (ક)) તેમજ કરજણ તાલુકાના નારેશ્વર ઘાટ, નર્મદા નદી (લીલોડ અને સાયર ગામ)ને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.