ભારતીય ટીમને મોટો ઝટકો,જસપ્રીત બુમરાહ ICC T20 World Cup 2022માંથી બહાર
મુંબઈ:બે અઠવાડિયા પછી યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ સતત પીઠની ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે.
હાલમાં જ જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ રમી હતી. બુમરાહે આ સિરીઝમાં બે મેચ રમી હતી.આ પછી તે ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.
ત્યારથી, એવા અહેવાલો હતા કે બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી સિવાય કોચ રાહુલ દ્રવિડે પણ આશા વ્યક્ત કરી હતી કે,બુમરાહ છેલ્લી ક્ષણ સુધી સ્વસ્થ થઈ શકે છે. . BCCIની મેડિકલ ટીમ બુમરાહની તપાસ કરી રહી હતી.પરંતુ હવે BCCIએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે બુમરાહ વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.
BCCIએ એક નિવેદન જારી કરતા કહ્યું કે, ‘BCCIની મેડિકલ ટીમે ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને T20 વર્લ્ડ કપ 2022માંથી બાકાત રાખ્યો છે. તમામ પ્રકારની તપાસ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય બોર્ડે કહ્યું, ‘જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સિરીઝમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. હવે BCCI ટૂંક સમયમાં જ વર્લ્ડ કપ માટે જસપ્રીત બુમરાહના સ્થાનની જાહેરાત કરશે.