Site icon Revoi.in

નિજ્જર કેસમાં કેનેડાની પીછેહઠ, ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહીં હોવાની કબુલાત

Social Share

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વચ્ચે જસ્ટિન ટ્રુડો ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે. ભારતે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને કેનેડા સરકાર દ્વારા આ ઘટનામાં ભારતની સંડોવણીના આરોપો બાદ બંને દેશો વચ્ચેનો તણાવ હવે કોઈનાથી છુપાયેલો નથી. બંને દેશોએ એકબીજાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે.

વાસ્તવમાં, ટ્રુડોએ હવે સ્વીકાર્યું છે કે તેમણે નિજ્જરની હત્યા અંગે ભારતને સાચા પુરાવા આપ્યા નથી. તેમણે કબૂલ્યું હતું કે નિજ્જરની હત્યા માટે ભારત પર જાહેરમાં આરોપ મૂકતા પહેલા કેનેડાએ માત્ર ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. પરંતુ આને લગતા કોઈ પુરાવા આપવામાં આવ્યા ન હતા. ટ્રુડોએ કહ્યું કે મેં જી-20માં પીએમ મોદી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ દરમિયાન મોદીએ મને કહ્યું કે કેનેડામાં ઘણા લોકો ભારત સરકાર વિરુદ્ધ બોલે છે અને તેઓ આ લોકોની ધરપકડ જોવા માંગે છે.

નોંધનીય છે કે, ભારતે ટ્રુડો પર રાજકીય લાભ માટે વોટ બેંકની રાજનીતિમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમની માંગણીઓ છતાં કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી.

જસ્ટિન ટ્રુડો શાસને નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો અને ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે. સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ હતા. ભારતે સ્પષ્ટપણે આવા આરોપોને ‘પ્રેરિત’ ગણાવ્યા હતા.

તાજેતરમાં જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર શ્રેણીબદ્ધ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે પાછલા વર્ષની ઘટનાઓએ લોકોને ખાસ કરીને ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો અને શીખ સમુદાયને આંચકો આપ્યો છે. ઘણા લોકો ગુસ્સે, અસ્વસ્થ અને ભયભીત છે. હું સમજું છું, આવું ન થવું જોઈતું હતું.

પીએમ ટ્રુડોએ કહ્યું કે કેનેડા એક એવો દેશ છે જે કાયદામાં વિશ્વાસ રાખે છે અને અમારા માટે અમારા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. આ કારણે, જ્યારે અમારી કાનૂની એજન્સીઓ અને ગુપ્તચર અધિકારીઓએ વિશ્વાસપાત્ર આક્ષેપો કર્યા હતા કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સીધા સામેલ હતા. અમે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.