Site icon Revoi.in

ભાદ્ર માસની શિવરાત્રીની સોમનાથ મંદિરમાં ઉલ્લાસભેર ઉજવણી

Social Share

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લંગ  સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પધારે છે. ત્યારે પવિત્ર ભાદ્ર માસની માસિક શિવરાત્રિ પર પ્રણાલિકા અનુસાર  સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે  સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે ભાદ્ર માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

સોમનાથ મંદિરમાં ભાદ્ર માસની શિવરાત્રીના મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.   રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર  દિલીપ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો પણ જોડાયા હતા. પૂજનના અંતે  સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જે સામગ્રી દ્વારા મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.