Site icon Revoi.in

અમરનાથ યાત્રાનો આરંભ, 4,603 શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો થયો રવાના

Social Share

નવી દિલ્હીઃ શ્રી અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. પુરુષો, મહિલાઓ અને સાધુઓ સહિત કુલ 4 હજાર 603 શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો આજે બાબા બર્ફાનીના દર્શન કરશે. આજ સવારે બંન્ને રૂટોથી પવિત્ર ગુફા માટે પહેલગામ અને બાલટાલાથી તિર્થયાત્રીઓએ પ્રસ્થાન કર્યું. બાબા બર્ફાનીના દર્શન કરવા દેશભરમાંથી આવેલ શીવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે કડક બંદોબસ્ત સાથે ડ્રોન અને સી.સી. ટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ અમરનાથ યાત્રા 2 મહિના સુધી ચાલશે. 

અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતીનગરથી બાલટાલ તથા પહેલગામ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓની આ બસને શનિવારે ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. દરમિયાન સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિમાણો ચકાસવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલા યાત્રાળુંઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પગલે સઘન સુરક્ષા બનાવવામાં આવી છે. કોઈ ચૂક ન થાય તે માટે માર્ગો ઉપર ડ્રોન કેમેરા તથા 365 ડિગ્રી એન્ગલથી વોચ રાખતા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ જમ્મુ શ્રીનગર હાઇવે ઉપર 500 મીટર તેમજ દર 1 કિલોમીટરના અંતરે પોલીસ ચોકીઓ રાખવામાં આવી છે. જ્યાં 24 કલાક પોલીસ તૈનાત રહેશે.

અમરનાથ યાત્રાને લઈને બે દિવસ પહેલા જ ઓફલાઈન નોંધણી શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. દરમિયાન આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ થયો છે. અમરનાથ યાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આતંકવાદી હુમલાની શકયતાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની ગઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ અમરનાથ યાત્રાના રૂટ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.