Site icon Revoi.in

અમદાવાદમાં પોલીસ કમિશનરે જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી, રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા કરી

Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરાજીની રથયાત્રા યોજાઈ છે. અષાઢી બીજને હવે સવા મહિનો જેટલો સમય બાકી છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અષાઢી બીજને તા. 7 જુલાઈના રોજ યોજાશે. ત્યારે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જમાલપુર જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર જી. એસ. માલિક સહિત ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓએ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી. પોલીસ કમિશનર અને અધિકારીઓએ ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા.

અમદાવાદ શહેરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર ખાતેથી નીકળે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાતા હોવાથી તેમની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જમાલપુર જગન્નાથ મંદિર મુલાકાત લીધી હતી. અને મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે જગન્નાથ મંદિર ખાતે બેઠક કરી હતી. દર વર્ષની જેમ રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાના કારણે સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.​​​​​​​

શહેર પોલીસ દ્વારા પણ રથયાત્રાના બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે, રથયાત્રાના રૂટ પર પોલીસે ફુટ માર્ચ પણ યોજી હતી. સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રાના રૂટ અને જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. રથયાત્રાના બે દિવસ પહેલા જ પોલીસ મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.