Site icon Revoi.in

સોમનાથ મંદિરમાં વૈશાખની માસિક શિવરાત્રીની મહાઆરતીમાં ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

વેરાવળઃ પ્રથમ જ્યોતિર્લંગ  સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. પ્રણાલિકા અનુસાર વૈશાખ માસની માસિક શિવરાત્રિ પર  સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે  સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી. સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્રભાઈ દેસાઈ સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઇ બેરા પણ જોડાયા હતા, જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા સહિત  સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે સચિવ દ્વારા  સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.

આ વિશેષ અવસરે જુનાગઢ પોલીસ બેન્ડ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બેન્ડના તમામ વાજિંત્રો સાથે સંગીત આરતી અને ધૂન વગાડીને કલા સાધના કરવામાં આવી હતી મહાદેવની ભક્તિ સાથે પોલીસ બેન્ડ દ્વારા થનાર આરતીનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ આનંદિત થયા હતા. વૈશાખ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.