રાજકોટમાં વાતાવરણ પલટાતાં રોગચાળો વકર્યો, શરદી, ઉધરસ, અને વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો
રાજકોટઃ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી અનભવાઈ રહી છે. સાથે જ રોગચાળો પણ વકર્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનામાં પણ દર્દીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા સપ્તાહમાં માત્ર શરદી-ઉધરસ અને તાવના 1150 કરતા વધુ દર્દી નોંધાયા હતા. જોકે આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 5 ગણાથી વધુ હોવાની શક્યતા છે. મ્યુનિ. કોર્પોરેશનનાં અથાગ પ્રયાસો બાદ મચ્છરજન્ય રોગચાળામાં મામૂલી ઘટાડો થયો હતો. જોકે ઝાડા-ઊલટી સહિતનાં અન્ય રોગના દર્દીઓમાં મોટો વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં શરદી, ઉઘરસ, અને વાયરલ ફીવરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી લાઈનો જોવા મળી હતી. લાંબા સમય બાદ મ્યુનિના હેલ્થ વિભાગના ચોપડે વિવિધ રોગોનાં 1404 કેસ નોંધાયા છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા જોઈએ તો માત્ર એક જ સપ્તાહમાં પાંચેક હજાર દર્દી સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. તેમજ લોકોને પણ સાવચેતી રાખવા અને બહારનો ખોરાક નહીં લેવાની સૂચના આપવામાં આવી રહી છે.
આરએમસીના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીના કહેવા મુજબ રોગચાળાને અટકાવવા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 4થી 10 ડિસેમ્બર દરમિયાન 58,712 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 1,774 ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઈટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજે 523 પ્રીમાઈસીસ અને રહેણાંકમાં 260 તો કોર્મશીયલ 8 આસામીને નોટીસ આ૫વામાં આવી હતી. (file photo)