Site icon Revoi.in

એક્સાઇઝ પોલિસી કેસ: સુપ્રીમ કોર્ટે AAP નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં જામીન મંજૂર કર્યા હતા, તેમજ નોંધ્યું હતું કે, તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે અને કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી, જેના કારણે તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.

બેન્ચે કહ્યું કે, આ મામલામાં મનીષ સિસોદિયાને જામીન માટે નીચલી કોર્ટમાં મોકલવા યોગ્ય નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે નીચલી અદાલતો અને હાઈકોર્ટે સમજવું જોઈએ કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. બેન્ચે સિસોદિયાને રૂ. 10 લાખના અંગત બોન્ડ અને એટલી જ રકમની બે જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓ બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023 ના રોજ તેની ધરપકડ કરી હતી. આ મની લોન્ડરિંગ કેસ CBI FIR સાથે સંબંધિત હતો.

સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેમની પાસે શિક્ષણ મંત્રાલયનો હવાલો પણ હતો. જામીનની વિનંતી કરતી વખતે સિસોદિયાએ કહ્યું હતું કે તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામે કેસ હજુ શરૂ થયો નથી. ED અને CBIએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.