Site icon Revoi.in

નવસારી પંથકના ખેડુતોને ચીકુના પાકે રડાવ્યા, લઘુત્તમ ટેકાના ભાવ આપવા સરકારને રજુઆત

Social Share

નવસારી : જિલ્લામાં ફળદ્રુપ જમીન અને ખેડુતો મહેનતુ હોવાને કારણે ફળફળાદી સારા પ્રમાણમાં પાકે છે. જિલ્લાના મુખ્ય પાકમાં ચીકુનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં વર્ષે અંદાજે 40 લાખ મણ ચીકુનું ઉત્પાદન થાય છે. પરંતુ બદલાતા વાતાવરણની અસરને કારણે મજૂરી કરતા ચીકુની પ્રતિ મણ આવક ઓછી થઈ છે. એટલે કે ચીકુના ભાવ પ્રતિ મણના 150થી પણ નીચે જતાં ખેડુતોને ચીકુ ઉતારવાની મજુરી પણ વધુ ચુકવવી પડે છે.  ત્યારે ચીકુને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ લાવવામાં આવે એવી માંગ નવસારીના ખેડૂતોએ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી બાગાયતી જિલ્લો છે. અહીં ચીકુ, કેરી, કેળા, પપૈયા, જમરૂખ જેવા ફળ પાકે છે. જેમાં ચીકુની વાડીઓ સૌથી વધુ છે અને વર્ષે દહાડે અંદાજે 40 લાખ મણથી વધુ ચીકુ થાય છે. પરંતુ છેલ્લા 8 વર્ષોમાં બદલાયેલા વાતાવરણને કારણે લાખો મણ ચીકુનું ઉત્પાદન લેતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. ગત વર્ષોમાં વધુ ઠંડી અને કમોસમી માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. જેમાં આ વર્ષે ફેબ્રુઆરીથી પડેલી અતિશય ગરમીએ ચીકુની સ્થિતિ બગાડી, જેને કારણે ખેડૂતો સાથે વેપારીઓને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગરમીએ પ્રતિ મણ ચીકુના ભાવ 150 રૂપિયા કે તેથી નીચે ઉતારી નાંખ્યા છે. જ્યારે ચીકુ બેડવાની મજૂરી મોંઘી પડે છે. જેને કારણે ખેડૂતો ચીકુ પાડવાને બદલે ઝાડ પરથી ઉતારવાનું પણ ટાળી રહ્યા છે. ગરમીને કારણે ચીકુ ઝાડ પર પાકી જતા નીચે પડી રહ્યા છે. જેથી વર્ષે લાખો મણ ચીકુ પાકતા હોય, ત્યારે મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યોની જેમ નવસારીના ચીકુ પકવતા ખેડૂતોને પણ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મળે, એવી લાગણી નવસારી પંથકના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  જિલ્લાના બાગાયતી ખેડૂતો ચીકુ અને કેરીના બંને પાકોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સમાવવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે બે વર્ષ અગાઉ મુખ્ય બાગાયતી પાક એવા સંતરા, દાડમ, ચીકુ, જમરૂખ અને દ્રાક્ષને વાતાવરણીય બદલાવને કારણે થતા નુકશાનથી બચાવવા વીમા કવચ આપ્યુ છે. ત્યારે ગુજરાત સરકાર પણ દક્ષિણ ગુજરાતના મુખ્ય બાગાયતી પાક લેતા ખેડૂતોને વાતાવરણથી થતા નુકશાન સામે રક્ષણ મળી રહે, એ માટે વીમા યોજનામાં સમાવેશ કરે એવી માંગણી કરી રહ્યા છે.  છેલ્લા 10 વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગે ઋતુચક્ર પર મોટી અસર કરી છે. જેની મોટી અસર બાગાયતી ખેતી પર પણ થઈ છે. ત્યારે ખેતીમાં થતા નુકસાન સામે ખેડૂતો ટકી શકે, એવી સહાય યોજના અથવા વીમા યોજના બને એ જરૂરી છે. ત્યારે સરકાર વીમા અંતર્ગત ચીકુ, કેરી જેવા બાગાયતી પાકોનો સમાવેશ કરે એજ સમયની માંગ છે.