Site icon Revoi.in

પાકિસ્તાનમાં મોહરમમાં હિંસા ફાટી નીકળવાનો ભય, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ રાજ્ય સહિત અન્ય ઘણા રાજ્યોએ સંઘીય સરકાર પાસેથી આ માંગ કરી છે. રાજ્યોને ડર છે કે, મોહરમ દરમિયાન હિંસા ફાટી નીકળી શકે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નફરતના સંદેશાઓ ઝડપથી ફેલાઈ શકે છે.

મોહરમ દરમિયાન, શિયા મુસ્લિમો ઇસ્લામના પ્રોફેટના પૌત્રની શહાદતની યાદમાં મોટા મેળાવડા કરે છે અને સરઘસ કાઢે છે. શિયા મુસ્લિમો જુલમ સામે પ્રતિકારના પ્રતીક તરીકે તેમની શહાદતની ઉજવણી કરે છે. આ સમયગાળા દરમિયાન, મોહરમના પ્રથમ દસ દિવસ માટે વિશાળ રેલીઓ યોજવામાં આવે છે. શિયા મુસ્લિમોની સુન્ની મુસ્લિમો સાથે ઐતિહાસિક ધાર્મિક દુશ્મનાવટ છે. આ જ કારણ છે કે મહોરમ દરમિયાન કટ્ટરપંથી સુન્ની જૂથો દ્વારા શિયા મુસ્લિમોની રેલીઓને નિશાન બનાવવાની ઘટનાઓ બને છે. આ દરમિયાન પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ કે આત્મઘાતી હુમલાનો ભય રહે છે.

હિંસાના ડરને કારણે, પાકિસ્તાન સરકાર મોહરમ દરમિયાન ટેલિકોમ્યુનિકેશનના માધ્યમોને અવરોધિત કરવા, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જેવા પગલાં લે છે. પંજાબ સરકારે ભ્રામક સંદેશાઓના ફેલાવાને રોકવા માટે મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા સેવાઓ પર પ્રતિબંધ લાદવાની સંઘ સરકારને અપીલ કરી છે. પંજાબ સરકારે ગૃહ મંત્રાલયને પત્ર લખીને સમગ્ર પ્રાંતમાં મહોરમ દરમિયાન ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, Xx, ટિક-ટોક વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેશે. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મોહરમ રવિવાર અથવા સોમવારે ચાંદના દર્શન સાથે શરૂ થઈ શકે છે. મૌલવીઓની સંસ્થા મોહરમની શરૂઆત અંગે નિર્ણય લેવા માટે ચર્ચા કરી રહી છે.