Site icon Revoi.in

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

Social Share

ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ જામવાળી ગામે દોડી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર બાદ બાળકોને ભયમુક્ત જાહેર કરીને રજા આપવામાં આવી હતી.

પાલીતાણા તાલુકાના જામવાળી-2 ગામમાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. શાળામાં એક બાળકનો  જન્મદિવસ હતો જન્મ દિવસમાં ભોજન કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. ભોજન કર્યા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી. 120 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું તેમાંથી 23 વિદ્યાર્થીઓને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં પહોંચી હતી. ગામના સરપંચ ઉષાબેન લક્ષ્મણભાઈ રાઠોડના પતિએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, શાળાના એક બાળકનો જન્મ દિવસ હોવાથી ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાક-પુરી અને લાડવા બહારથી લાવવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત થતા કેટલાક બાળકોને સામાન્ય ફૂડ પોઝિશનીંગની અસર થઈ હતી. હાલ સ્થિતિ સામાન્ય છે.

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ કે,  આ બનાવની જાણ થતા જ આરોગ્યની ટીમ જામવાળી ગામે પહોંચી ગઈ હતી. જ્યાં કુલ 120 જેટલા બાળકો પૈકી 23 બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બે થી ચાર બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી, જ્યારે અન્ય બાળકોને સામાન્ય અસર હતી. જોકે, ડાયરીયા વધુ પ્રમાણમાં થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે જામવાળી ગામે થયેલા બનાવમાં શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, શાળાના કર્મચારી બહેનના બાળકનો જન્મદિવસ હોવાથી પાલીતાણાથી દિલીપભાઈ નામના રસોયાને બોલાવવામાં આવ્યા હતા. જેમાં બપોરના સમય બાળકો માટે છોલે-ચણા, પૂરી, પાપડ, સલાડ, મોતીચૂરના લાડવા અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, 120 માંથી 24 જેટલા બાળકોને સામાન્ય અસર થઈ હતી. તેમાંથી ત્રણ બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી. હાલ દરેકને સ્થિતિ સામાન્ય છે.