Site icon Revoi.in

જીટીયુ ઈન્ક્યુબેટર્સ દ્વારા સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવાયું

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) રિસર્ચર્સ અને ઈન્ક્યુબેટર્સને પ્રોત્સાહન આપવા માટે હરહંમેશ કાર્યરત રહે છે. બ્લડ સુગર , બ્લડ પ્રેશર કે પછી ગર્ભાવસ્થા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદથી ઘરે રહીને જ નિદાન કરી શકાય છે. તેવી જ રીતે સરળતાથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ વિના સંકોચે ઘરે રહીને જાતેજ સ્તન કેન્સરનું નિદાન કરી શકે તે માટે જીટીયુ સંચાલીત ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના (ડિઆઈસી) ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવ્યું છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,  WHOના રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરના કેસમાં સતત વધારે થતો જેવા મળી રહ્યો છે. આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુના રેશીયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.  જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ડિઆઈસી કો- ઓર્ડિનેટર્સ પ્રો. રાજ હકાણી અને ઈન્ક્યુબેટર્સને આ સંદર્ભે અભિનંદન પાઠવ્યા હતાં.

જીટીયુ ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ અને ડીથ્રીએસ હેલ્થકેર ટેક્નોલોજીના સ્થાપક ધ્રુવ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ 2020માં 7 લાખથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. જે આગામી 2025 સુધી 8 લાખથી વધુ થવાની શક્યતા છે. અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરની જાગૃતી ઓછી છે. જેના કારણોસર તેની જાણ બીજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો, મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. રેડલાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ ડિવાઈસ સ્તનને 360 અંશથી સ્કેન કરીને તેમાં રહેલી ગાંઠ કે અન્ય સમસ્યા સંબધીત ડેટાનો રીપોર્ટ મોબાઈલ એપ્લિકેશનમાં ફોટોગ્રાફ સહિત રજૂ કરે છે. વર્તમાન સમયમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજીના સરળતાથી ઘરેજ નિદાન કરવા માટે વપરાતી નથી. જ્યારે રેડ લાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈસ થકી પરિવારની દરેક મહિલા કોઈ પણ સમયે સ્તન કેન્સર સંબધીત સમસ્યાનું નિદાન કરી શકશે.  વર્તમાન સમયમાં આ ડિવાઈસ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈને આગામી જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે