![ગુજરાતઃ તબીબે આયુષ્માન પોર્ટલ પર ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચર્યું](https://revoi.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2024/06/29140225/rajkott.png)
ગુજરાતઃ તબીબે આયુષ્માન પોર્ટલ પર ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચર્યું
રાજકોટના તબીબ ડૉ. હિરેન મશરૂએ આયુષ્માન પોર્ટલથી ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને, રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ખોટા દસ્તાવેજો કરી કરોડોનું કૌભાંડ કર્યા આધારે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે.
હોસ્પિટલના તબીબ ડૉ. હિરેન મશરૂએ, 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડૉ. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે હાંસલ કરી હતી. તેણે સ્વસ્થ બાળકોને બીમાર બતાવ્યાં હતાં. આ માટે તેણે લેબ સાથે પણ સાઠગાંઠ કરી હતી.
ગાંધીનગર આરોગ્ય વિભાગે પેનલ્ટી નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂને પેનલ્ટીનો લેટર મોકલ્યો હતો, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પરિવારોને રૂપિયા 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે ત્યારે ડૉક્ટર હિરેન મશરૂની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત, નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરીને કુલ 116 કેસ પ્રી-ઓથ એપ્રૂવલ માટે મૂક્યા હતા.
હોસ્પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવતાં આ 116 કેસ રિજેક્ટ કરવામાં આવ્યા છે તેમજ એની પ્રી-ઓથ એપ્રૂવડ રકમ રૂ. 65,47,950 થાય છે. એની 10 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે સરકાર વસૂલશે અને તેમની હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા બાળકોના રિપોર્ટ સાથે, છેડછાડ કરી આયુષ્યમાન કાર્ડ યોજનાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડોક્ટર હિરેન મશરુ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. એને લઇ નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલા લીધાં હતાં અને થોડા સમય પૂર્વે સરકારે આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી હતી.