Site icon Revoi.in

ગુજરાત સરકારના કર્મચારીઓએ લડત સ્થગિત કરી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના, તેમજ વિવિધ પડતર પ્રશ્નોને લઈને 17મી સપ્ટેમ્બરથી  પેન ડાઉન સહિત તબક્કાવાર લડતની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુરાતના પ્રવાસે હોવાથી રાજ્ય સરકારે તાબડતોબ પ્રયાસો કરીને કર્મચારીઓને સમજાવી લેતા સરકારી કર્મચારીઓની લડત હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત સરકારે વડાપ્રધાનની મુલાકાત પૂર્ણ થયા બાદ સપ્તાહમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સહાનુભૂતિથી વિચારવાની ખાતરી આપ્યા બાદ કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની હડતાળની ચીમકી સામે સરકાર ઘૂંટણિયે આવી ગઈ છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસથી આંદોલન ન કરવા સરકારે કર્મચારીઓને અપીલ કરી હતી. પીએમ ગુજરાતથી રવાના થયા બાદ તમામ માગ પર સરકાર વિચારણા કરશે એવી બાંયધરી આપી છે. સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી છે. આવતા અઠવાડિયામાં ફરીથી સરકાર બેઠક કરશે.

ગુજરાત સરકારના કર્મચારી યુનિયનોએ જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે 17 સપ્ટેમ્બરે પેન ડાઉનનો કાર્યક્રમ યોજી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. શનિ રવિની સપ્તાહાંત રજા ઉપરાંત સોમવારે ઇદે મિલાદની રજા ઉપરાંત મંગળવારે પણ પેન ડાઉન યોજીને નાનું એવું વેકેશન માણવાના મનસૂબા પર હવે પાણી ફરી વળ્યું છે. સરકાર સાથેની મંત્રણા બાદ કર્મચારી યુનિયને ફરી એકવાર હાથ મિલાવીને મંગળવારના પેન ડાઉન કાર્યક્રમને મોકુફ રાખ્યો છે. આથી સરકારી કર્મચારીઓએ 17 તારીખે નોકરી પર હાજર થઇ રાજ્ય સરકારના સેવા સેતુ, સ્વચ્છતા સંકલ્પ અને એક વૃક્ષ માતાને નામે કાર્યક્રમમાં જોડાઇ જવાનું રહેશે. શનિવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે આવતા સપ્તાહે જ તેમના મુદ્દાઓ બાબતે સરકારના મંત્રીઓ કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુબેર ડિંડોર, બચુ ખાબડ અને પ્રફુલ પાનશેરિયા સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવશે. અગાઉ કર્મચારીઓએ લોકસભા ચૂંટણી પહેલા પણ આંદોલન કર્યું હતું. (File photo)