Site icon Revoi.in

ગુજરાત સરકારે માત્ર 3 વર્ષમાં રૂ.8500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છેઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં રૂ.329 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માણસાના રહેવાસીઓ માટે 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 425 પથારીની આ હોસ્પિટલ આગામી 25 વર્ષ સુધી માણસાનાં લોકોની સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરશે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, આજે માણસા મ્યુનિસિપાલિટીના 10 વિકાસકાર્યોનું ઉદઘાટન, ખાતમુહૂર્ત અને ઇ-ઉદઘાટન થઈ રહ્યું છે, તેની સાથે સાથે રૂ. 329 કરોડના ખર્ચે અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન પણ થઈ રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે માણસામાં સુંદર ચંદ્રસર તળાવનો વિકાસ કરવામાં આવ્યો છે, અને આ તળાવમાં નર્મદા નદીમાંથી પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અગાઉ બાંધવામાં આવેલા 13 તળાવો સહિત ચંદ્રદુ, માલણ, મલાઈ સહિત કુલ 16 તળાવોને જોડવાનું અને તેમને નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ આ ચોમાસાની સિઝનમાં પૂર્ણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી આસપાસનાં તમામ વિસ્તારોમાં પાણીનું સ્તર વધશે અને કૃષિ ઉપજમાં સુધારો થશે, જેનાથી ખેડૂતોની સમૃદ્ધિ વધશે.

અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, શિલાન્યાસનાં વિવિધ પ્રોજેક્ટોમાં સિવિલ હોસ્પિટલ, માલન તળાવનું બ્યુટિફિકેશન, સાસ્ની અને માલણ તળાવ માટે કાર્યક્રમો, રણયાપુરમાં કોમ્યુનિટી હોલ, પિલવાઈ-મહુડી રોડનું ડબલ લેનિંગ અને સૂકો કચરો અલગ પાડવાનો પ્લાન્ટ સામેલ છે. તદુપરાંત, નવી હોસ્પિટલમાં ક્રિટિકલ કેર ટ્રોમા સેન્ટર, ઓર્થોપેડિક સર્જરી, પેડિયાટ્રિક વિભાગ, મેડિસિન, ગાયનેકોલોજી, ફિઝિયોથેરાપી, ડાયાલિસિસ, એક્સ-રે, સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જે તમામ માટે એક જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌપ્રથમ વાર સ્થાનિક ભાષાઓમાં તબીબી વિજ્ઞાનનું શિક્ષણ શરૂ કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મધ્યપ્રદેશમાં અત્યારે હિન્દીમાં તબીબી અભ્યાસક્રમો શરૂ થઈ ગયા છે, જ્યાં અત્યારે 40થી વધારે મેડિકલ કોલેજો હિન્દીમાં તબીબી વિજ્ઞાનનું શિક્ષણ આપી રહી છે. શાહે એમ પણ નોંધ્યું હતું કે, માણસામાં મેડિકલ કોલેજ પૂર્ણ થયા પછી ગુજરાતી ભાષામાં પણ મેડિકલ સાયન્સનું શિક્ષણ શરૂ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વ્યવસ્થાના અમલીકરણથી ગુજરાતમાં આપણા બાળકો તેમની ભાષામાં શિક્ષણ મેળવી શકશે અને ડોક્ટર બની શકશે, આ પહેલ માણસાથી શરૂ થશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, હજુ બે દિવસ અગાઉ જ દિલ્હી પોલીસે રૂ. 5,600 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને તેમાં સામેલ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટને નાબૂદ કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં “ડ્રગ-ફ્રી ઇન્ડિયા” અભિયાન શરૂ કર્યું હતું, જેનાં ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ૨૦૦૪થી ૨૦૧૪ સુધીમાં કુલ ૧,૫૨,૦૦૦ કિલો ડ્રગ્સ પકડાયું હતું જેની કિંમત ૭૬૮ કરોડ રૂપિયા છે, જ્યારે મોદી સરકારના ૧૦ વર્ષ દરમિયાન ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૫,૪૩,૬૦૦ કિલો વજનના ~૨૭,૬૦૦ કરોડના ડ્રગ્સ પકડાયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાં એ અગાઉ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નશીલા દ્રવ્યોનો વેપાર ઝડપથી વિસ્તરી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પહેલા કરતા ૩૬ ગણા વધુ મૂલ્યનું ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કરીને આ દૂષણને ગંભીર ફટકો આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં ઝડપાયેલા ડ્રગ્સમાંથી માત્ર ત્રણ વર્ષની અંદર ગુજરાત સરકારે જ ₹8,500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફક્ત નરેન્દ્ર મોદી સરકાર જ નશીલા દ્રવ્યોથી મુક્ત ભારતનાં સંકલ્પને પૂર્ણ કરી શકે છે.

અમિત શાહે એવું પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લાં 10 વર્ષમાં હેલ્થકેર ક્ષેત્રમાં અનેક ફેરફારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ લોકોને તંદુરસ્ત બનાવવા માટે સર્વગ્રાહી અભિગમ શરૂ કર્યો છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ માત્ર દવાઓ, હોસ્પિટલો કે નાણાકીય સહાય પૂરી પાડવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કર્યું, પણ તેમણે સ્વચ્છતા, દરેક ઘરમાં શૌચાલયોનું નિર્માણ, પીવાનું સ્વચ્છ પાણી સુનિશ્ચિત કરવું અને યોગને પ્રોત્સાહન આપવા જેવા પ્રયાસોને પ્રોત્સાહન પણ આપ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, “ખેલો ઇન્ડિયા”એ બાળકો, યુવાનો અને કિશોરોને મજબૂત કરવાની શરૂઆત કરી છે, યોગ મારફતે લોકોનાં સ્વાસ્થ્યને સુધારવા પ્રયાસો હાથ ધર્યા છે અને લાખો ગરીબોને રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર પ્રદાન કરતી આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આ સુવિધા ગુજરાતમાં ₹10 લાખ સુધી મળે છે. તેમણે જણાવ્યું હતું કે, ઘરોમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર રૂ. 10 લાખને બદલે રૂ. 15 લાખ સુધીનો સંપૂર્ણ આરોગ્ય ખર્ચ ઉઠાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષમાં મેડિકલ બેઠકોની સંખ્યા બમણી કરવાનો છે, જેમાં 75,000 વધારાની બેઠકો પ્રદાન કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જેવા આટલા મોટા દેશમાં સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે એક સંપૂર્ણ અભિગમની જરૂર છે, જેમાં કુપોષણને નાબૂદ કરવું, પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવું, યોગને લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બનાવવો, સસ્તી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને હેલ્થકેર માટે સંપૂર્ણ વ્યવસ્થા સ્થાપિત કરવી વગેરેનો સમાવેશ થાય છે.