Site icon Revoi.in

શ્રીલંકા સિરીઝ પહેલા જ મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા સાથે જોડાશેઃ જય શાહ

Social Share

નવી દિલ્હીઃ ભારતી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો છે. ભારતીય ખેલાડીઓએ ખિતાબ જીત્યા બાદ પોતાના કોચને યાદગાર વિદાય આપી હતી. હવે ટીમ ઈન્ડિયાના કોચ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે નવા ચીફની નિમણૂકને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા સીરીઝમાં ટીમ ઈન્ડિયા નવા કોચ સાથે રમતા જોવા મળશે. ભારતીય ટીમના નવા કોચનો નિર્ણય જુલાઈના અંત સુધીમાં થઈ જશે. આ માહિતી BCCI સેક્રેટરી જય શાહે આપી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, તાજેતરમાં જ ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC) એ ભારતના નવા કોચ માટે બે દિગ્ગજોના ઇન્ટરવ્યુ લીધા હતા. તેમાંથી એકની પસંદગી કરવામાં આવશે, તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જય શાહે કહ્યું કે, “કોચ અને પસંદગીકારો બંનેની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. CAC એ ઇન્ટરવ્યુ હાથ ધર્યા છે અને બે નામોને શોર્ટલિસ્ટ કર્યા છે અને તેઓ મુંબઈ પહોંચ્યા પછી જે પણ નિર્ણય લેશે, અમે તે મુજબ કામ કરીશું, વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે જઈ રહ્યાં છે પરંતુ નવા કોચ શ્રીલંકા સીરિઝ સાથે જોડાશે.

નવા કોચનો કાર્યકાળ જુલાઈ 2024 થી 31 ડિસેમ્બર 2027 સુધીનો રહેશે. 18 જૂનના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીર અને ડબલ્યુવી રમણનો ઇન્ટરવ્યુ લીધો હતો. બંનેએ વીડિયો કોલ દ્વારા ઈન્ટરવ્યુ આપ્યો જેમાં અશોક મલ્હોત્રા પણ સામેલ હતા. ભારતીય ટીમ 27 જુલાઈથી 7 ઓગસ્ટની વચ્ચે ત્રણ T20 અને વધુ ODI મેચોની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે.

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે હિટમેને પણ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે તે ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. રોહિત બાદ T20 ટીમના નવા કેપ્ટનની રેસમાં હાર્દિક પંડ્યા સૌથી આગળ છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને રોહિત બાદ તે કેપ્ટનશીપ સંભાળે તેવી શક્યતા અંગે શાહે કહ્યું, “કેપ્ટન્સીનો નિર્ણય પસંદગીકારો દ્વારા લેવામાં આવશે અને અમે તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેની જાહેરાત કરીશું. તમે હાર્દિક વિશે પૂછ્યું, ઘણા બધા તેના ફોર્મ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ અમે અને પસંદગીકારોએ તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને તેણે પોતાની જાતને સાબિત કરી.