Site icon Revoi.in

બિહારમાં EBC, SC અને ST માટે 65 ટકા આરક્ષણ રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

Social Share

નવી દિલ્હીઃ બિહારમાં અનામતને લઈને પટના હાઈકોર્ટે નીતિશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગુરુવારે EBC, SC અને ST માટે 65 ટકા અનામત નાબૂદ કરી હતી. બિહાર સરકારે પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી છે. હવે આ નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો છે.

આ મામલામાં પટના હાઈકોર્ટે ગૌરવ કુમાર અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરી હતી. હાઇકોર્ટે સુનાવણીના અંતે 11 માર્ચ, 2024 માટે આદેશ અનામત રાખ્યો હતો, જે આજે સંભળાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ કે વી ચંદ્રનની ડિવિઝન બેંચમાં ગૌરવ કુમારની અરજીઓ અને અન્ય અરજીઓ પર લાંબી ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ પી.કે.શાહીએ દલીલો કરી હતી. તેમણે કોર્ટને કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ગોના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપી છે. રાજ્ય સરકારે પ્રમાણસર ધોરણે આ અનામત આપી નથી.

આ અરજીઓમાં રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બર, 2023ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવામાં આવી હતી. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે માત્ર 35 ટકા પોસ્ટ પર જ સરકારી સેવા આપી શકાય છે.

એડવોકેટ દિનુ કુમારે છેલ્લી સુનાવણીમાં કોર્ટને કહ્યું હતું કે, સામાન્ય શ્રેણીમાં EWS માટે 10 ટકા આરક્ષણ રદ કરવું એ ભારતીય બંધારણની કલમ 14 અને કલમ 15(6)(b)ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સ્વાહાની કેસમાં અનામતની મર્યાદા પર 50 ટકા અંકુશ લાદ્યો હતો. જાતિ સર્વેક્ષણનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના આધારે રાજ્ય સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. આ કારણે પટના હાઈકોર્ટે આ કેટેગરીઓ માટે અનામત મર્યાદા પચાસ ટકાથી વધારીને 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે.