Site icon Revoi.in

ગાંધીનગરમાં ખોરજ બ્રિજ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ખોરજ બ્રિજ પર બન્યો હતો. ગાંધીનગરના ખોરજ બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં પાટણથી અમદાવાદ જવા નીકળેલા બાઈક ચાલક યુવકનું શરીરે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. જેથી અડાલજ પોલીસે ગુનો નોંધીને નાસી ગયેલા વાહનચાલકની શોધખોળ આદરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી શંભુભાઈએ અડાલજ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે. કે,  અમદાવાદના ઘાટલોડિયા ખાતે રહેતા મૂળ પાટણના બાલીસણા ગામનાં વતની શંભુભાઈ અખીભાઈ રબારી પોતે નારણપુરા ખાતે છૂટક ડ્રાઇવિંગમાં પ્રાઈવેટ નોકરી કરી ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરના સમયે શંભુભાઈ પોતાની નોકરીએ હાજર હતા. એ વખતે બાલીસણા ખાતે રહેતા  કુટુંબી ભાઈ અંકિતભાઈ ગેમરભાઇ રબારીએ ફોન કરીને જણાવ્યું હતું કે, કાનજીભાઈ મોહનભાઈ રબારીનો દીકરો નિકુલ બાલીસણા ગામેથી અમદાવાદ ખાતે પોતાનું બાઈક લઈ જઈ રહ્યો હતો. ગાંધીનગરથી અમદાવાદ વૈષ્ણવદેવી જવાના રોડ ઉપર ખોરજ બ્રિજ ઉપર કોઈ અજાણ્યા વાહને પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત પૂરી રીતે હંકારી નિકુલના બાઈકને ટક્કર મારી અકસ્માત કર્યો છે. જેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હોવાથી તમે તાત્કાલિક ત્યાં પહોંચો. જેનાં પગલે ભત્રીજા નિકુલને અકસ્માત થયાના સમાચાર સાંભળીને તાબડતોબ સોલા સિવિલ દોડી ગયા હતા. જ્યાં નિકુલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે શંભુભાઈની ફરીયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.