Site icon Revoi.in

હું વિરાટ કોહલીને આઈપીએલ ટ્રોફી સાથે જોવા ઈચ્છું છુઃ દિનેશ કાર્તિક

Social Share

નવી દિલ્હીઃ આગામી વર્ષે રમાનારી આઈપીએલ ટૂર્નામેન્ટને લઈને હાલથી વિવિધ ટીમો અને બીસીસીઆઈ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન IPL 2025 પહેલા, એવા અહેવાલો છે કે KL રાહુલ IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બની શકે છે. આઈપીએલ 2024માં રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. રાહુલ 2022 થી લખનૌનો ભાગ છે અને ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. 2024 IPLમાં રાહુલ અને ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયન્કા વચ્ચે ચકમક જોવા મળી હતી. ત્યારથી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રાહુલ લખનૌ છોડી દેશે. હવે RCBના મેન્ટર દિનેશ કાર્તિકે રાહુલને લઈને મોટું નિવેદન આપ્યું છે.

IPL 2024માં RCB તરફથી રમી ચૂકેલા દિનેશ કાર્તિકે સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ લીધી હતી. આ પછી RCBએ તેને ટીમનો મેન્ટર બનાવ્યો હતો. એક કાર્યક્રમમાં આરસીબીના માર્ગદર્શક કાર્તિકને પૂછવામાં આવ્યું કે, વિરાટ કોહલી અને કેએલ રાહુલમાંથી કોણે પહેલા આઈપીએલ ટ્રોફી જીતવી જોઈએ? આ સવાલનો જવાબ આપતા કાર્તિકે કહ્યું, “વિરાટ કોહલી મારી ટીમનો એક ભાગ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિરાટ કોહલી પહેલા ટ્રોફી જીતે.” કાર્તિકે વધુમાં કહ્યું કે, જો કેએલ રાહુલ ટીમમાં હોય તો સારું રહેશે.

કાર્તિકના આ જવાબે ફરી એકવાર લોકોના મનમાં રસ પેદા કર્યો કે IPL 2025માં રાહુલ લખનૌ છોડીને તેની જૂની ફ્રેન્ચાઈઝી RCB માટે રમતા જોવા મળી શકે છે. જો કે રાહુલને લઈને હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી.