Site icon Revoi.in

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીક્ષુકો અને ચીજ-વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવાશે

Social Share

અમદાવાદઃ સુરતની જેમ  હવે અમદાવાદને પણ ભિક્ષુકમુક્તસિટી બનાવાશે. શહેર પોલીસે પણ ટ્રાફિક જંક્શન પરથી ભિક્ષુક અને જુદી જુદી વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવવાનો નિર્ણય લીધો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટુક સમયમાં જુદા જુદા વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતે બેઠક યોજશે અને આ નિર્ણયને કઈ રીતે અમલમાં મૂકવા તે બાબતે ચર્ચા કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ પર ભીખ માગતા લોકોને શેલ્ટર્સ હોમ કે ભીક્ષુક ગૃહમાં મોકલી દેવાશે. ભીક્ષુકોને ખાવા-પીવાની વ્યવસ્થા અને તેમના બાળકોને શિક્ષણની વ્યવસ્થા પણ કરી અપાશે. આ કાર્યમાં જરૂર પડે ઓનજીઓની મદદ પણ લેવામાં આવશે.પ્રથમ તબક્કામાં સી જી રોડ, એસ જી હાઈવે અને સિંધુ ભવન રોડ પરના લગભગ 50 જેટલા ટ્રાફિક જંક્શન પર લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આ નિયમ સમગ્ર શહેરમાં લાગુ કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ઘણા લાંબા સમયથી તેમને ફરિયાદો મળી રહી હતી કે કેટલાક ભિક્ષુકો કે જેઓ કોઈ સિન્ડિકેટ સાથે જાડાયેલા છે. તેઓ અને ચાર રસ્તા પર અલગ અલગ વસ્તુઓ વેચતા ફેરિયાઓ ટ્રાફિક મુવમેન્ટમાં બાધારૂપ બની રહ્યાં છે.કેટલાક કિસ્સામાં પોલીસને બાતમી પણ મળી છે કે જે મોટા ભાગના ભિક્ષુકો કે જેઓ ટ્રાફિક જંક્શન પર ભીખ માંગે તેઓ કોઈ મોટી સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત સગીર વયના બાળકો અને કેટલાક ગરીબ લોકોને ભીખ માગવાના રેકેટમાં ધકેલવાનું કામ પણ કરે છે.

સંયુકત પોલીસ કમિશનર (ટ્રાફિક) એ જણાવ્યું હતું કે, આવા તત્વોનો શોધીને તેમના વિરુદ્ધ કાયદા પ્રમાણેના પગલાં લેવાશે.એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જે ભિક્ષુકોને ટ્રાફિક જંક્શન પરથી હટાવવામાં આવશે તેમને રેન બસેરા અથવા તો ભિક્ષુક ગૃહમાં રખાશે, તેમના ઉપર ખાનગી રીતે વોચ રાખવમાં આવશે અને જો તેઓ કોઈપણ રીતે બેગીંગ સિન્ડિકેટ સાથે જોડાયેલા જણાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક પોલીસની આ ડ્રાઈવમાં ભૂમિકા અને જે ખરેખર ભિક્ષુક હશે તેમના પુનઃવસન માટે ચર્ચા કરવામાં આવશે.