Site icon Revoi.in

ગુજરાતમાં 41 તાલુકામાં પડ્યો વસાદ, મેંદરડા, કોટડા સાંગણીમાં બે ઈંચ વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદે વિરામ લીધો હતો. સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં એકપણ સ્થળે વરસાદ નોંધાયો નથી. દરમિયાન આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કોટડાસાંગણીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડા, રાણાવાવ  જામકંડોરણા, માળિયા હાટિના, ઝગડિયા, અમરેલીના કુકાવાવ, જુનાગઢ અને માંગરોળમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ચોમાસુ વિદાય થવાની તૈયારીમાં છે. ત્યારે બુધવારે વહેલી સવારથી મોડી રાત સુધીમાં 41 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે ગુરૂવારે દિવસ દરમિયાન વરસાદે વિરોમ લીધો હતો. બુધવારે કોટડાસાંગાણીમાં આખો દિવસ કોરો રહ્યા બાદ મોડી સાંજે બે કલાકમાં આશરે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે મેંદરડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.  સતત વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયુ છે. દિવાળી નજીક છે ત્યારે ભારે વરસાદથી અનેક ડેમો સતત છલકાઈ રહ્યા છે. પોરબંદરના મંડેરમાં એક ઈંચ વરસાદ સાથે વીજળી પડતા ભેંસનું મૃત્યું નીપજ્યું હતું. સાવરકુંડલાના બગોયા ગામે વીજળી પડતા ભેંસનું મૃત્યું તેમજ ઈલેક્ટ્રીક સાધનોને નુકસાન પહોંચ્યું હતું, આંબરડી-અભરામપરામાં તોતિંગ વૃક્ષ ધસી પડયું હતું અને ખાંભા ગીરની નદીઓમાં પૂર આવ્યા હતા. મગફળી, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયાના અહેવાલો મળે છે.  વડિયા પંથકમાં દેવળકી, સનાળી ગામે કૃષિ જણસીના પાથરાં વરસાદી પૂરમાં તણાયાના વિડીયો વાયરલ થયા હતા.

રાજકોટ જિલ્લામાં બુધવારે લોધિકા બાદ કોટડાંસાગાણીમાં સૂર્યાસ્ત પછી ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરાંત ગોંડલ, જામકંડોરમા સહિત સ્થળે પણ વરસાદ નોંધાયો છે. જામકંડોરણામાં રાત્રિના 8થી 9 દરમિયાન એક કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા.  અમરેલી જિલ્લામાં સાંજ સુધી વરસાદના વિરામ બાદ સાંજે 6 વાગ્યા બાદ કુંકાવાવ વડિયા, બાબરામાં એક ઈંચ, બગસરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગસરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાંભામાં પણ ધોધમાર એક ઈંચ વરસાદ નોંધાયો છે.

બુધવારે તાલાલામાં એક ઈંચ ઉપરાંત પાટણ વેરાવળ, વિસાવદર, થાનગઢ, જામજોધપુર અને  સાંજે 6 વાગ્યા પછી વિસાવદર, પોરબંદર, બાબરા, ગોંડલ, ભેંસાણ, વંથલી વગેરે વિસ્તારમાં ઝાપટાંથી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

શરદ પુનમની રાત્રે પૂર્ણ કળાએ ખિલેલા ચંદ્રના દર્શન અલૌકિક હોય છે અને આ સમયે ઠેરઠેર દાંડિયારાસ, અગાશી ઉપર દૂધ-પૌઆના આયોજનો  થતા હોય છે પરંતુ, આજે સૂર્યાસ્ત પછી ચંદ્રોદય થયો ત્યારે તેજસ્વી ચંદ્રને કમોસમી વાદળોએ ઢાંકી દીધો હતો.