Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપ માટે બે કરોડ સભ્ય નોંધણીનો ટાર્ગેટ પૂરો કરવો મુશ્કેલ બન્યો

Social Share

અમદાવાદઃ ભાજપ દ્વારા ગત 2જી સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. 15મી ઓક્ટોબર સુધી ચાલનારા સદસ્યા અભિયાનમાં ભાજપના પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ નગરપાલિકાના કોર્પોરેટરથી લઈને તમામ પદાધિકારીઓને ગજા બહારનો ટાર્ગેટ અપાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી બે કરોડ સભ્યોની નોંધણીનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ભાજપના તમામ નેતાઓથી લઈને કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી રહ્યા હોવા છતાંયે સભ્યો બનતા નથી. ભાજપના સભ્ય બનવા લોકોમાં પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ 2 કરોડનો આપી તો દીધો પણ, એ પૂરો કરવો નેતાઓને અઘરો લાગી રહ્યો છે, કેમકે અત્યાર સુધીમાં હજુ એક કરોડનો આંકડો પહોંચી શક્યા નથી અને 15 ઓક્ટોબર સુધીમાં જો 2 કરોડનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજના 8 લાખથી વધુ સભ્યો બનાવવા પડે તેવી સ્થિતિ છે. ભાજપ દ્વારા 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ભાજપના નેતાઓ, કાર્યકરોને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેમાં સંસદસભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટર, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના આગેવાનોને પણ અભિયાનમાં કામે લગાડી દીધા હતા.

સૂત્રોના કહેવા મુજબ  ગુજરાતમાં વિધાનસભાથી લઈને 70 ટકા જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપનું શાસન છે, તેમ છતાં સદસ્યતા અભિયાનને એક મહિનો પૂરો થયો હોવા છતાં 1 કરોડનો આંક પૂરો થઈ શક્યો નથી, જેથી ભાજપના પ્રદેશ પ્રમુખથી લઈને નેતાઓએ વારંવાર બેઠક કરી ને ટાર્ગેટ પૂરો કરવા ટકોર કરી રહ્યા છે, ભાજપે સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે તાજેતરમાં જ ત્રણ દિવસ ડ્રાઈવ કરી હતી.પણ સફળતા મળી નહતી. કહેવાય છે. કે, ભાજપ માટે આખી જુવાની ઘસી નાખનારને ભાજપે સામાન્ય કાર્યકર બનાવી ને રાખ્યા, સિનિયર કાર્યકરો પણ નારાજ હોવાથી સદસ્યતા અભિયાન ચાલતું નથી.

ભાજપના સ્થાનિક નેતાઓ સભ્ય બનાવવા નીકળે ત્યારે મતદારો પણ કહેવા લાગ્યા છે કે, મત ભાજપ ને જ આપીશું પણ સભ્ય બનાવવાનું રહેવા દો. ભાજપ પ્રદેશ  સંગઠન સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો હતો, જેમાં સરકાર અને સંગઠન સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે કોઈ સંકલન ના હોવાથી સંગઠન સામે એન્ટી ઇન્કબંસી ઉભી થઇ હોય એવું વાતાવરણ ઊભું થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતીનો વધી રહેલો પ્રવાહ પણ ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરોને ખટકી રહ્યો છે, રાતોરાત ભાજપમાં આવેલાને નેતાઓ બનાવી દેવામાં આવે છે. તેના કારણે સદસ્યતા અભિયાન માં અવળી અસર પડી હોવાનું ભાજપ નેતાઓનું કહેવું છે.