Site icon Revoi.in

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં ઠેર ઠેર દબાણો અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન

Social Share

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણામાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. તેમજ તાલુકા મથક હોવાથી આજુબાજુના ગામડાંઓમાંથી લોકો ખરીદી કરવા માટે પણ પાલિતાણા શહેરમાં આવતા હોય છે. પાલિતાણાના જાહેર માર્ગો અને બજારોમાં ઠેર ઠેર દબાણો ખડકાયેલા છે. દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની માગ ઊઠી છે.

પાલિતાણા શહેરમાં છેલ્લા લાંબા સમયથી દબાણો અને ટ્રાફિકનો પ્રશ્ન સ્થાનિકો માટે શીરદર્દ સમાન બન્યો છે. વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. આડેધડ ખડકાતા દબાણો અને વાહનોને કારણે અવ્યવસ્થા સર્જાતી હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ત્યારે ટ્રાફિક અને દબાણના મામલે તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ મામલે નગરપાલિકાના સત્તાધિશોને વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ લક્ષી પગલા ભરવામાં આવતા નથી જેના કારણે આ સમસ્યા દિન પ્રતિદિન વધતી રહી છે પાલિતાણા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ તેમજ લારીઓના જમાવડો વધતો જાય છે. દુકાનદારો પણ ફૂટપાથ રોકીને માલ સામાન મૂકે છે .ઓવન બ્રીજની ફૂટપાથો ઉપર પાથરણાવાળા બેસી જાય છે આથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. નગરપાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે પરંતુ ફરીથી પરિસ્થિતિ એવીને એવી સર્જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોટા વાહનોને ફક્ત રાત્રિના જ નગરમાં પ્રવેશ આપવો જોઈએ, પોલીસ, નગરપાલિકા, અને પ્રાંત કચેરી  સંકલન કરી શહેરની જનતાને સમસ્યામાંથી મુક્તિ આપવાની લોક માંગ ઉઠવા પામી છે