Site icon Revoi.in

ભારતીય સેનાની ટુકડી ભારત- થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી માટે રવાના

Social Share

નવી દિલ્હીઃ ભારત-થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રીની 13મી આવૃત્તિ માટે ભારતીય સેનાની ટુકડી રવાના થઈ હતી. આ કવાયત 1થી 15 જુલાઈ 2024 દરમિયાન થાઈલેન્ડના ટાક પ્રાંતના ફોર્ટ વાચિરાપ્રકન ખાતે યોજાશે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ સપ્ટેમ્બર 2019માં મેઘાલયના ઉમરોઈ ખાતે હાથ ધરવામાં આવી હતી.

ભારતીય સેનાની ટુકડીમાં 76 કર્મચારીઓ સામેલ છે, જેમાં મુખ્યત્વે લદાખ સ્કાઉટ્સની એક બટાલિયનની સાથે સાથે અન્ય શાખાઓ અને સેવાઓના કર્મચારીઓ સામેલ છે. રૉયલ થાઈલેન્ડ આર્મીની ટુકડીમાં પણ 76 કર્મચારીઓ સામેલ છે, જેમાંથી મુખ્યરુપે 4 ડિવિઝનની 14 ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટની પહેલી બટાલિયનથી છે.

મૈત્રી કવાયતનો ઉદ્દેશ્ય ભારત અને થાઈલેન્ડ વચ્ચે લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કવાયત સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના પ્રકરણ VII અંતર્ગત જંગલ અને શહેરી વાતાવરણમાં સંયુક્ત વિદ્રોહ/આતંકવાદી ઓપરેશન ચલાવવાની સંયુક્ત ક્ષમતાઓને વધારશે. આ કવાયત ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી, સંયુક્ત આયોજન અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કવાયત દરમિયાન પ્રેક્ટિસ કરવા માટેની વ્યૂહાત્મક કવાયતમાં સંયુક્ત ઓપરેશન સેન્ટરનું નિર્માણ, ગુપ્તચર અને સર્વેલન્સ કેન્દ્રની સ્થાપના, ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સનો ઉપયોગ, લેન્ડિંગ સાઇટની સુરક્ષા, નાની ટીમનો પ્રવેશ અને નિષ્કર્ષણ, સ્પેશિયલ હેલિબોર્ન ઓપરેશન્સ, કોર્ડન અને સર્ચ ઓપરેશન્સ, રૂમ ઇન્ટરવેન્શન ડ્રીલ્સ અને ગેરકાયદેસર સ્ટ્રક્ચર્સનું ડિમોલિશન સામેલ હશે.

મૈત્રી કવાયતથી બંને પક્ષોને સંયુક્ત અભિયાનોના સંચાલન માટે રણનીતિ, તકનીકો અને પ્રક્રિયાઓમાં તેમના સર્વોત્તમ અભ્યાસોને શેર કરવાની તક મળશે. આ કવાયત બંને દેશોના સૈનિકોની સાથે આંતર-સંચાલન, સૌહાર્દ અને મિત્રતા વિકસિત કરવામાં સહાયક થશે.