Site icon Revoi.in

ઈરાનમાં વસતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

Social Share

નવી દિલ્હીઃ ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સાવચેત કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે મધ્ય પૂર્વની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. એડવાઈઝરી જાહેર કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે, “ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે. હાલમાં ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની વિનંતી કરવામાં આવે છે.”

ઇરાને મંગળવારે ઇઝરાયેલ પર ડઝનેક મિસાઇલો છોડી હતી. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, ઈરાને 200 મિસાઈલો છોડી છે. આ પછી ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી હતી. સરકારે ઇઝરાયેલમાં રહેતા ભારતીયોની માહિતી એકત્રિત કરવા માટે એક ગૂગલ ફોર્મ પણ શેર કર્યું હતું, જેમાં ત્યાં રહેતા ભારતીયો તેમની માહિતી ભરી શકે છે અને દૂતાવાસમાં નોંધણી કરાવી શકે છે. મંત્રાલય દ્વારા ભારતીયોને સુરક્ષા નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. અગાઉ 1 ઓક્ટોબર, 2024 ના રોજ, વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું હતું કે, સ્થાનિક સત્તાવાળાઓ અનુસાર સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરો. કૃપા કરીને સાવચેતી રાખો, દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.