1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મેળવવી અઘરી બની
સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મેળવવી અઘરી બની

સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મેળવવી અઘરી બની

0
Social Share
  • પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી,
  • અટપટી અને અઘરી પ્રોસેસથી વાલીઓ પણ કંટાળ્યા,
  • વિદ્યાર્થીઓનું બેન્કમાં ખાતુ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિગતો આપવી પડે છે

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠામાંથી પસાર થવું પડે છે. અને એટલીબધી માથાકૂટ કરવી પડે છે, કે તેથી વાલીઓ જ કંટાળી ગયા છે. શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બૅન્ક ખાતું હોવું જોઈએ. બૅન્ક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાય છે, પછી લાઇનમાં ઊભા રહ્યા બાદ મહા મુસીબતે આધાર કાર્ડ નીકળે છે. ત્યારબાદ ખાતું ખોલાવવા માટે બૅન્કોના ધક્કા થાય છે. વિદ્યાર્થીનું ખાતું બૅન્ક દ્વારા ખોલી આપવામાં આવતું નથી. ઘણાં બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ બૅન્કમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે. આ ઉપરાંત રેશનકાર્ડની વિગતો આપવી પડે છે. આ અંગે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે.

રાજ્યમાં સરકારી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મળે છે. જેના માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે નવો નિયમ લાવવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર નાખી તથા ફેમિલી આઇડી અપડેશન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કામ પુરવઠા વિભાગ દ્વારા થઈ શક્યું નથી, જેથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ અને ગણવેશ સહાય અટકી છે. માટે રેશનકાર્ડ નંબર રાખવાની પ્રક્રિયા દૂર કરીને વિદ્યાર્થીઓને સહાય આપવાની માંગ કરવામાં આવી છે.

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, વર્ષ 2024-25ના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ અને ગણવેશની પ્રક્રિયા ઓનલાઈન કરવાની છે. તેમાં વિદ્યાર્થીઓના રેશનકાર્ડ નંબર અને ફેમિલી આઈડી અપડેશન કરી ઓનલાઇન પછી તેમાં વિદ્યાર્થીઓના આઈડીની માહિતી ફરજિયાત કરી છે, તેના કારણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ અને ગણવેશ સહાયના લાભથી વંચિત રહી જાય તેમ છે. કારણ કે, મોટાભાગના વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં હજુ સુધી સામેલ નથી. તેમજ રેશનકાર્ડ અપડેટ કરવાના પણ સંપૂર્ણ બાકી છે. આ કામ પણ પુરવઠા વિભાગનું છે. હાલ આચાર્યોને આ કામગીરી સોંપવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે આવી કોઈ કામગીરી આચાર્યને ના સોંપતા જે તે વિભાગને સોંપવામાં આવે અને ઓનલાઈન પોર્ટલમાં જરૂરી સુધારા કરી સરળતાથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે ઝડપથી પ્રક્રિયા કરવામાં આવે.  તેવી માગ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code