Site icon Revoi.in

ખરાઘોડા-ઝીંઝુવાડાનો રણ વિસ્તારમાં પાણી ભરાયા, ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સમયાંતરે પડેલા વરસાદને લીધે ખેડુતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે. ભારે વરસાદને લીધે કચ્છના નાન રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં મીની સમુદ્ર જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યામાં વરસાદના પગલે રસ્તો બંધ થઈ ગયો છે. ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થતાં બે ગામોને એલર્ટ કરાયા છે. તેમજ ભોગાવો નદીના પટમાં ન જવા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના ચાર મહિના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ મીની સમુદ્રમા ફેરવાઈ જતા મીઠું પકવવાની પ્રક્રિયા બંધ થઇ જાય છે. જિલ્લામાં મેઘાના મંડાણ થઈ ચુકયા છે. છેલ્લા થોડા દિવસોથી વરસાદી વાતાવરણ સર્જાયા બાદ વરસાદ હાથતાળી દઈને જતો રહેતો હતો. જોકે, મંગળવારે વહેલી સવારે જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી હતી અને સવારના 4થી 6ના સમયગાળા દરમિયાન ચૂડા તાલુકામાં 90 મિમી વરસાદ વરસ્યો હતો. જયારે સવારના સમયે જ લીંબડીમાં ચોટીલામાં 25, લીંબડીમાં 18, મૂળીમાં 14, લખતર અને વઢવાણમાં 10 મિમિ વરસાદ વરસ્યો હતો. ચૂડા તાલુકામાં અનરાધાર વરસાદથી વાંસલ ડેમ ઓવરફલો થયો છે અને વાંસલ નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા બે ગામોને એલર્ટ કરાયા છે.

ચૂડા શહેરમાં ભારે વરસાદની ઠેર ઠેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સરકારી દવાખાના પાસે પાણી ભરાતા દર્દીઓ, તેમના સગાવ્હાલાઓ અને કર્મીઓ પરેશાન થઈ ગયા હતા. શહેરમાં પણ વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પહોંચી હતી. જ્યારે સવારના સમયે રસ્તાઓ પર પાણી ભરાયેલા હતા. શહેરની મુખ્ય એવી કલેકટર કચેરીના બીજા પ્રવેશદ્વારમાં પાણી ભરાતા જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જિલ્લામાં હજુ 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લા સિંચાઈ વિભાગમાં આવતા આ બન્ને ડેમોમાં સૌની યોજનાનું પાણીથી ભર્યા હતા. હાલ પાણીની આવક થાય અને 100 ટકા ભરાય તો ઓવરફ્લો થાય જેથી ધોળીધજા ડેમ વિસ્તારમાં આવતા વઢવાણના 9 ગામ અને ચુડા વાંસલ ડેમ વિસ્તારમાં આવતા 2 ગામોને તાકીદ કરાઈ છે. ભોગાવો પટમાં પણ ન જવા તાકીદ કરાઈ છે.