- ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે બે લાખ લોકોએ માતાજીના કર્યા દર્શન,
- 68 મોહનથાળના પેકેટનું વેચાણ,
- અંબાજી તરફના તમામ રસ્તાઓ પર ભક્તિભર્યો માહોલ
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ છે. ત્યારે ગઈકાલની જેમ આજેપણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. અંબાજી આવતા તમામ માર્ગે પર યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ક્યુઆર કોડથી યાત્રિકો તમામ માહિતી મેળવી શકે છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો ગઈકાલે ગુરૂવારથી પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે મંદિરમાં બે લાખથી વધુ માઇભક્તોએ મા જગતજનની અંબાના દર્શન કર્યા હતા. મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. અંબાજીના તમામ માર્ગો માઇભક્તોથી ઉભરાયા છે. તો બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે. અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો હાથોમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે અને મા જગતજનની અંબાના દર્શન કરી રહ્યા છે.
આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે ત્યારે મા જગતજનની અંબાના મંદિરમાં માઇ ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. માતાજીની આરતી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. દર્શન પથની રેલીગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે. મા જગતજનની અંબાના ચાચર ચોકમાં પણ માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહા મેળાના પ્રથમ દિવસની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દૈનિક રિપોર્ટ અનુસાર સાંજના 5:00 વાગ્યા સુધી 1,93,220 માઇભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. 1,68,250 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું. ત્યારે ચીકીના પેકેટ વિતરણ 1930 થયા હતા. તો ભક્તોએ 1.000 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.