નવી દિલ્હીઃ જો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની વાત નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સ્વીકારે તો ભવિષ્યમાં લાઈફ અને તબીબી વીમાનું પ્રીમિયમ ઘટી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઈફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના રોજ નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું તમને લાઈફ અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST હટાવવાના સૂચન પર એકવાર વિચાર કરવા વિનંતી કરું છું. વરિષ્ઠ નાગરિકો માટે આ બોજારૂપ બની જાય છે. લાઈફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ બંને પ્રિમિયમ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, ‘આજે દરેક વ્યક્તિની જરૂરિયાત લાઈફ ઈન્સ્પોરન્સ અને સ્વાસ્થ્ય વીમાની છે. આ સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે. જો કે, આ પ્રીમિયમ ઉત્પાદનો પર 18 ટકા ટેક્સ આ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ છે. નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયનના જવાબમાં નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને આ પત્ર લખ્યો હતો. કર્મચારી સંઘે નીતિન ગડકરીને વીમા ઉદ્યોગને પડતી સમસ્યાઓ અંગે એક મેમોરેન્ડમ આપ્યું હતું.
તેના મેમોરેન્ડમમાં, કર્મચારી સંઘે કહ્યું હતું કે, ‘વીમા પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ છે. આ કારણોસર, અમે માનીએ છીએ કે કોઈ વ્યક્તિ તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે વીમા પૉલિસી લે છે, તેથી જ પ્રીમિયમ પર ટેક્સ લાગવો જોઈએ નહીં. જો નાણામંત્રી નિર્મલા સીતારમણ GST કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સૂચનને સ્વીકારે છે, તો આવનારા સમયમાં જીવન અને સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં ઘટાડો થઈ શકે છે.