Site icon Revoi.in

સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે: CM

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત ‘લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી  સંબોધન કરી રહ્યા હતા. શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી  કૌશલ કિશોર, અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રોના તજજ્ઞો, મહાનગરોના મેયર્સ, કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા.

રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં  ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે  અપનાવવાનું વિઝન આપ્યું છે.તેમણે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યના સ્વર્ણિમ જયંતી વર્ષ 2010માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવીને આ ઓપોર્ચ્યુનિટી આપી હતી. તેના પરિણામે આજે ગુજરાતના શહેરો વિશ્વકક્ષાના બન્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, શહેરોમાં વધતી વસ્તી સાથે ક્લાયમેટ ચેન્જ અને સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક બાબતો, વૈશ્વિક ઘટનાઓની અસર, સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પડકારો સામે સસ્ટેઇનેબલ એન્ડ લિવેબલ સિટીઝના ફ્યુચરિસ્ટિક વિઝનથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં શહેરોમાં ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે. સિટિઝન સેન્ટ્રીક ઓનલાઈન સેવાઓ, સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજ થી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગ થી સ્માર્ટ ઈ-મોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શહેરોને ગ્રીન-ક્લીન સિટી બનાવવા અર્બન ફોરેસ્ટ કોન્સેપ્ટ, U-20 નું સફળ આયોજન, સ્વચ્છ શહેરોના નિર્માણ સાથે વધુ આધુનિકતા જોડીને ભવિષ્ય માટે જરૂરી સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે ગુજરાત ફ્યુચર રેડી થઈ રહ્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.

તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતની વડાપ્રધાનની નેમ પાર પાડવામાં સસ્ટેઇનેબલ અને લિવેબલ સિટીઝની ભૂમિકા મહત્વની બનશે તેમ જણાવતાં આ પ્રિ-વાઇબ્રન્ટ કોન્ફરન્સનો નિષ્કર્ષ શહેરોને લિવેબલ અને લવેબલ બનાવવામાં ઉપયુક્ત નીવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી  કૌશલ કિશોરે ગુજરાતને વિકાસનું આદર્શ મોડલ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના વિકાસ મોડલ થકી દેશના અન્ય રાજ્યોને દિશા આપી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરો આદર્શ શહેરની પરિભાષાને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરોને આદર્શ અને લીવેબલ બનાવવા માટે પાણી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલની સુવિધા સહિત પ્રદુષણને ઘટાડવા વધુમાં વધુ વૃક્ષો હોવા ખુબ જ આવશ્યક છે. માત્ર શહેર જ નહિ, સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાનએ પદભાર સંભાળતાની સાથે જ સ્વચ્છ ભારત મીશનની શરૂઆત કરાવી હતી, અને પોતે પણ આ અભિયાનમાં જોડાઈને સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જ પ્રદુષણને ઘટાડવા માટે પણ તેમણે રીન્યુએબલ એનર્જીના સ્ત્રોત અને ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન આપ્યું છે.