Site icon Revoi.in

લખનૌનું અકબરનગર ઇતિહાસ બન્યું, 1200 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કુકરેલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી અભિયાનમાં ગેરકાયદેસર ઈમારતોને તોડી પાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બુલડોઝર સહિતના ભારે મશીનોનો ઉપયોગ કરીને 1169 ગેરકાયદેસર રહેણાંક મિલકતો અને 100 થી વધુ વ્યવસાયિક મિલકતોને તોડી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 24.5 એકર જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં 1320થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. એલડીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે લગભગ 100 ઇમારતો તોડી પાડવામાં આવી હતી, હવે કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

અકબરનગરના જે પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના અન્ય ભાગોમાં વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા છે. અકબરનગરના 1800થી વધુ પરિવારોને મકાનો મળ્યા છે. રાજ્ય સરકારે આ વિસ્તારમાં ‘ઇકો-ટુરીઝમ હબ’ વિકસાવવાની દરખાસ્ત કરી છે. ઉત્તરપ્રદેશમાં અકબરનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરીને પગલે રાજકીય માહોલ ગરમાયું હતું. ઉત્તરપ્રદેશમાં નદી-તળાવોના વિકાસ માટે યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. તેમજ નદી-તળાવોમાં કરાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરો-નગરોના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે.