ભારતીય સેનાને વધારે પાવરફુલ બનાવશે મોદી સરકાર
નવી દિલ્હીઃ ભારત સતત સેનાની તાકાત વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. ચીન સાથે એલએસીના ઘણા પોઈન્ટ્સ પર ટેન્શન વચ્ચે, રક્ષા મંત્રાલય ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ ભારતીય નૌકાદળ માટે 7 અદ્યતન યુદ્ધ જહાજો બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય સેનાને તેની T-72 ટેન્કની જગ્યાએ મોડર્ન ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ (FRCV) આપવામાં આવશે જેથી તેની તાકાત વધારી શકાય અને દેશના દુશ્મનોને સમયસર જડબાતોડ જવાબ આપી શકાય.
હથિયારોને લઈને રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે સાઉથબ્લોકમાં એક બેઠક થવાની છે, જેમાં અનેક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને અન્ય મુખ્ય અધિકારીઓ બેઠકમાં પહોંચશે. બંને સેનાઓને સોંપવામાં આવનાર શસ્ત્રો માટેના પ્રોજેક્ટ્સ ખરીદવાનો ખર્ચ આશરે 1,20,000 કરોડ હોઈ શકે છે.
• ભારતીય નૌકાદળને સાત નવા યુદ્ધ જહાજ મળશે
ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ 7 નવા યુદ્ધ જહાજો સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ યુદ્ધ જહાજો દેશમાં અત્યાર સુધીનું સૌથી અદ્યતન ઇન્ટેલિજન્સ યુદ્ધ જહાજ હશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)ની બેઠકમાં ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ હેઠળ ખાનગી ક્ષેત્રના શિપયાર્ડ સહિત ભારતીય શિપયાર્ડને આશરે રૂ. 70,000 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે.
• DACની બેઠકમાં શું ખાસ રહેશે અને સેનાની તાકાત કેટલી વધશે?
- રશિયન મૂળની T-72 ટેન્કને 1,700 FRCV સાથે બદલવાના ભારતીય સેનાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે.
- T-72 ને સ્વદેશી FRCV થી બદલવાના પ્લાન પર ચર્ચા થઈ શકે છે. તેનું નિર્માણ સંરક્ષણ સંપાદન પ્રક્રિયાની મેક-1 પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે.
- આર્મીનું ટારગેટ FRCV પ્રોજેક્ટ પર છે. જેમાં દરેક તબક્કામાં 600 જેટલી ટેન્ક તૈયાર કરવામાં આવશે.