![અમદાવાદમાં 150થી વધુ પ્રિ-સ્કૂલોના સીલ 300ના સ્ટેમ્પ પેપર પર બાંયેધરી આપ્યા બાદ ખોલી અપાશે](https://www.revoi.in/wp-content/uploads/2023/02/school-balvatica.jpg)
અમદાવાદમાં 150થી વધુ પ્રિ-સ્કૂલોના સીલ 300ના સ્ટેમ્પ પેપર પર બાંયેધરી આપ્યા બાદ ખોલી અપાશે
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના બિલ્ડિંગોને સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં ઘણીબધી પ્રિ-સ્કૂલોને પણ સીલ કરવામાં આવી હતી. આથી પ્રિ-સ્કૂલોના સંચાલકોએ શહેરના રિવરફ્રન્ટ પર વિરોધનો કાર્યક્રમ આપીને થોડા દિવસની મુદત આપવાની માગણી કરી હતી. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ બાળકોના હિત માટે શરતોને આધિન પ્રિ-સ્કૂલોના સીલ ખોલવાની મંજુરી આપી છે. જેમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાંયેધરી પત્ર આપવાનો રહેશે.
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રિ-સ્કૂલો સહિતની મિલકતોને સીલ કરવામાં આવી હતી. આથી પ્રિ-સ્કૂલોના સંચાલકોએ રજુઆત કરતા શરતોને આધિન સીલ ખોલવાની એએમસીએ મંજુરી આપી છે. જેમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી પત્ર આપવાનો રહેશે. ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે 30 દિવસનો સમય અપાશે અને સર્ટિ. મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. જ્યારે બાંધકામ નિયમિત કરાયેલું ન હોય તેમને બાંધકામ નિયમિત કરાવવા માટે 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 150 કરતા વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રિ-સ્કૂલો સીલ કરવા અંગેની કાર્યવાહીને લઈને સ્કૂલ સંચાલકો તથા વાલી મંડળોના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે શરતી ઉપયોગની પરવાનગી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે મ્યુનિ. કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઝોનલ કચેરી ખાતેથી સીલ ખોલવાની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રિ-સ્કૂલો માન્ય બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ધરાવતા નથી. જેથી તેઓ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી કે રિન્યુ કરાવી શકે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે તેને લઈને ફક્ત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કોમ્પ્લાયન્સની કાર્યવાહી હાથ ધરવા 30 દિવસની મુદત આપવામાં આવી છે. સ્કૂલો કે પ્રિ-સ્કૂલોએ આવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ જ ઉપયોગ શરૂ કરવા માટે સંચાલકો પાસેથી નિયત નોટરાઈઝ બાંહેધરી રજૂ કરાવી ફાયર સેફ્ટી અન્વયેના જરૂરી પ્રોવિઝન કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા અન્વયે આદેશાનુસાર સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે.