Site icon Revoi.in

મુળીના ભેટ ગામે વીજળી પડતા 30થી વધુ બકરાનાં મોત

Social Share

સુરેન્દ્રનગરઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલ જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાલાવાડમાં ગઈકાલે ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હતો. વાતાવરણમા અચાનક પલટો આવ્યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન જિલ્લાના મૂળીના ભેટ ગામે વિજળી પડતા 30થી વધુ બકરાના મોત નિપજતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં થાનગઢ અને ચોટીલામા દોઢ ઇંચ વરસાદ, મુળી, ચોટીલા અને દસાડામા એકાદ ઇંચ વરસાદ અને લીંબડીમા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લખતર, વઢવાણમા પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.  દરમિયાન મૂળી તાલુકાના ભેટ ગામે વીજળી પડતા 30થી વધુ બકરાના મોત નિપજવાનો ગોઝારો બનાવ બન્યો હતો. જેના લીધે પશુપાલક ઉપર આભ તૂટી પડતા ભારે નુકસાની ઉઠાવવાની નોબત આવી હતી. જિલ્લામાં આગામી બે ત્રણ દિવસમાં હજી વધુ વરસાદ ખાબકવાની દહેશતથી ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો આગામી નવરાત્રીમાં વરસાદ પડવાની આશંકાએ ખેલૈયાઓ પણ હાલ મૂંઝવણમા મુકાઈ ગયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રીના સૌથી વધુ વરસાદ થાનગઢ તાલુકામાં દોઢ ઇંચ એટલે કે, 38 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલા તાલુકામા 34 મીમી, મુળી તાલુકામા 28 મીમી, સાયલા તાલુકામા 21 મીમી, દસાડા તાલુકામા 19 મીમી, લીંબડી તાલુકામા 11 મીમી, ધ્રાંગધ્રા તાલુકામા 8 મીમી, જ્યારે લખતર અને વઢવાણ તાલુકામા 7-7 મીમી અને ચૂડા તાલુકામા 1 મીમી વરસાદ નોંધાયો હતો.